મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એક આધુનિક જેટી વિકસાવવાની યોજના બનાવી રહી છે, એમ બંદર વિકાસ પ્રધાન નિતેશ રાણેએ જણાવ્યું હતું.
રાણેએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ દક્ષિણ મુંબઈના પ્રતિષ્ઠિત વોટરફ્રન્ટ પર જેટી નંબર 5 સંબંધિત પરવાનગીઓ, ટેરિફ માળખા અને સલામતી સંબંધિત મુદ્દાઓ લાવવામાં આવ્યા છે. તેઓ સભ્ય અશોક પાટીલ દ્વારા ઉઠાવવામાં આવેલી નોટિસનો જવાબ આપી રહ્યા હતા. ધારાસભ્યો વરુણ સરદેસાઈ અને પ્રકાશ સુર્વેએ ચર્ચામાં ભાગ લીધો હતો.
રાણેએ જણાવ્યું હતું કે સરકાર જેટી મેનેજમેન્ટને મજબૂત બનાવીને, આધુનિક બોટ, બંદર અને મુસાફરોની સુવિધાઓનું નિર્માણ કરીને મુંબઈને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન અને દરિયાઈ કેન્દ્ર તરીકે વિકસાવવા માંગે છે.
તેમણે કહ્યું કે,ગેટવે ઓફ ઈન્ડિયા વિસ્તારમાં મુસાફરોની અવરજવર વધુ હોવાથી ભારે ભીડ જોવા મળે છે. ભીડ ઓછી કરવા અને સલામતી વધારવા માટે નવી જેટીની યોજના બનાવવામાં આવી રહી છે.
આ સ્થળે પાંચ જેટી છે, જેમાંથી જેટી નંબર 1 થી 4 સામાન્ય મુસાફરો માટે છે અને તેનું સંચાલન મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જેટી નંબર 5 નો ઉપયોગ મુખ્યત્વે ખાનગી અને મોટી યાટ્સ માટે કરવાનો પ્રસ્તાવ છે, જેનાથી અન્ય જેટી પર ભીડ ઓછી થવાની અપેક્ષા છે, એમ તેમણે જણાવ્યું હતું.