Wed Jul 01 2026

Logo

કચ્છ-બિહારના મુસાફરો માટે રાહતના સમાચાર: ગાંધીધામ-ભાગલપુર એક્સપ્રેસ ટ્રેનના ફેરા વધુ એક મહિના લંબાવાયા

2026-07-01 13:47:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: કચ્છથી બિહાર વચ્ચે મુસાફરી કરતા હજારો પ્રવાસીઓની સુવિધા અને ટ્રેનોમાં ભારતીય રેલવેના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વેકેશન અને તહેવારોની સિઝન બાદ પણ મુસાફરોનો ધસારો યથાવત્ રહેતાં ગાંધીધામ-ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનના ફેરા આગામી એક મહિના સુધી લંબાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

રેલવે વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, બંને દિશાની ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. ગાંધીધામથી ભાગલપુર ટ્રેન(નંબર ૦૯૪૫૧) આગામી ૩ જુલાઈથી શરૂ કરીને ૩૧ જુલાઈ સુધી દર અઠવાડિયે પોતાના નિયત દિવસોએ દોડશે. ભાગલપુરથી ગાંધીધામ (ટ્રેન નંબર ૦૯૪૫૨) મુસાફરી માટે ૬ જુલાઈથી શરૂ કરીને ૩ ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે.

મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન બંને દિશામાં પરિવર્તિત માર્ગ પર દોડશે અને ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ થઈને બિહાર પહોંચશે. આ ટ્રેન રૂટ પરના મુખ્ય સ્ટેશનો જેવા કે ભચાઉ, સામખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, નડિયાદ, દાહોદ, રતલામ, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિન્દોન, બયાના, ભરતપુર, મથુરા, હાથરસ, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર, ફતેહપુર, પ્રયાગરાજ, વારાણસી, ઔડીહાર, ગાજીપુર સિટી, છપરા, હાજીપુર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, બરૌની, બેગુસરાય, મુગેર અને સુલ્તાનગંજ ખાતે થોભશે. રેલવેના આ નિર્ણયથી ખાસ કરીને કચ્છમાં વસતા ઉત્તર ભારતીય અને બિહારી શ્રમિક વર્ગ તેમજ વેપારીઓને વતન જવા-આવવા માટે મોટી રાહત મળશે. 

(ઉત્સવ વૈદ્ય)