મુંબઈઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના સિંદેવાહી તાલુકાના ગુંજેવાહી-પવનપર વિસ્તારમાં શુક્રવારે વાઘના હુમલામાં ચાર મહિલાઓના મોત થતા આ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
વિદર્ભના ચંદ્રપુર જિલ્લામાં તાડોબા-અંધારી વાઘ અભયારણ્ય આવેલું છે. આ પહેલા પણ આ જિલ્લામાં માનવ-વન્યજીવ સંઘર્ષની ઘણી ઘટનાઓ સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, 13 મહિલાઓ તેંદુના પાંદડા એકત્ર કરવા માટે જંગલમાં ગઈ હતી ત્યારે એક વાઘ, જે આ વિસ્તારમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે, તેણે તેમના પર હુમલો કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં ચાર મહિલાઓના મોત થયા છે. આ ઘટનાથી જંગલ વિસ્તારમાં રહેતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે, વન વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતરના વર્ષોમાં માનવ-વન્યજીવ સંઘર્ષની ઘણી ઘટનાઓ જોવા મળી હોવાથી આ પ્રદેશમાં વાઘની હિલચાલ પર અધિકારીઓ નજર રાખી રહ્યા છે. મહારાષ્ટ્ર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.