Sun Jul 26 2026

Logo

"પહેલાથી જીદ છોડી શાણપણ દર્શાવ્યું હોત તો.....", શિક્ષણ પ્રધાનના રાજીનામા પર ગુજરાતના વિપક્ષે શું કહ્યું?

2026-07-25 18:15:41
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજધાની દિલ્હીના જંતર મંતર પર છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલન અને સોનમ વાંગચુકની ભૂખ હડતાળ બાદ કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. શિક્ષણ પ્રધાનના રાજીનામા પર વિપક્ષે યુવાનોની જીત અને અહંકારી સત્તાની હાર ગણાવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ નીટ પેપર લીક આંદોલન બાદ શિક્ષણ પ્રધાનના રાજીનામાને દેશના યુવાઓની અને લોકશાહીની મોટી જીત ગણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આખા દેશમાં પેપર લીક વિરુદ્ધ અને પ્રધાનના રાજીનામાની માંગ સાથે પ્રબળ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. 21 જેટલા વિદ્યાર્થીઓની આત્મહત્યા સામે ન્યાય માંગવા અને વિરોધ નોંધાવવા જાતિ, ધર્મ કે પ્રાંતના ભેદભાવ વગર લાખો યુવાનો દિલ્હી પહોંચ્યા હતા. જોકે, અહંકારી સરકારે યુવાનો સાથે સંવાદ કરવાને બદલે તાનાશાહી વલણ અપનાવીને લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો, જેમાં દીકરીઓ પર પણ દમન કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ બહાર ધરણાં કરી રહેલા વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી તથા મલ્લિકાર્જુન ખડગેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, આખા દેશ અને વિદેશ સુધી ઉઠેલા વિરોધના વંટોળને કારણે તાનાશાહ સરકારે આખરે ઝૂકવું પડ્યું અને પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. પરંતુ, તેમણે કહ્યું હતું કે  આનાથી આત્મહત્યા કરનાર તે 21 માસૂમ વિદ્યાર્થીઓના પરિવારોને  સાચો ન્યાય નથી મળવાનો. તેમણે તે પરિવારોને તેમજ દિલ્હીમાં યુવાનો પર પોલીસના નામે જે આતંક અને અત્યાચાર ગુજારવામાં આવ્યો, તેના માટે જવાબદાર લોકો સામે પણ કડક પગલાં લેવાની માંગ કરી હતી. અંતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી એ સાબિત થઈ ચૂક્યું છે કે લોકશાહીમાં જ્યારે યુવાશક્તિ અને જનશક્તિ એક થઈને લડે છે, ત્યારે અહંકારી અને ભ્રષ્ટાચારી સરકારોએ પણ ફરજિયાતપણે ઝૂકવું પડે છે.

પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે અભિનંદન પાઠવતા  કહ્યું હતું કે યુવાનોની હિંમત, જોશ અને સહનશક્તિ સામે સતાની જીદ અને અહંકારની હાર થઈ છે. યુવાનોની તાકાતનો આજનો વિજય દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે . લોકશાહીમાં જે જે જીતાડી શકે છે તે જીતીને અહંકારી બને તો તેને જુકાવી પણ શકે છે . પહેલાથી જીદ છોડી શાણપણ દર્શાવી સંઘર્ષના બદલે સંવાદ સરકારે કર્યો હોત તો અનેક લોકોને પરેશાન ના થવું પડ્યું હોત તેમ જણાવ્યું હતું.

આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ નીટ પરીક્ષા પેપર લીક મામલે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને યુવાનોની એકતા અને હોંસલાની ઐતિહાસિક જીત ગણાવી હતી. આ અંગે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું હતું કે, અભિજીત દીપકની 'કોકરોચ જનતા પાર્ટી', સોનમ વાંગચૂકના 26 દિવસના અંશન અને ૨૦ કરોડથી વધુ યુવાનોના સ્વયંભૂ આંદોલનના પરિણામે જ આ રાજીનામું શક્ય બન્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે આ આંદોલનમાં માત્ર સામાન્ય યુવાનો જ નહીં, પરંતુ જજ, નેતાઓ અને આઈએએસ-આઈપીએસ અધિકારીઓના સંતાનો તેમજ ફિલ્મી કલાકારો અને સામાજિક સંગઠનોએ પણ પોતાનો પૂરો સહયોગ આપ્યો હતો. સરકાર દ્વારા આંદોલનકારી યુવાનો પર વિદેશી ફંડિંગ મેળવવાના અને ચીનના એજન્ટ હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવા છતાં, યુવાનો એક રહ્યા અને રાજીનામાથી ઓછું કંઈ જ નહિ તેવી માંગ પર અડગ રહ્યા હતા. અંતે, તેમણે આ સફળતાનો શ્રેય વિપક્ષની ભૂમિકા અને ખાસ કરીને સમગ્ર જેન-ઝીની અદભુત તાકાતને આપતા સૌને અભિનંદન પાઠવ્યા હતા. તે ઉપરાંત જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ પણ આ રાજીનામાને યુવાનોની જીત ગણાવીને અભિનંદન પાઠવ્યા હતા.