Thu Jul 23 2026

Logo

‘ચાંદીપુરા’ના કહેરથી ભાવનગરમાં વધુ એક બાળકનું મોત; જામનગર-પંચમહાલ સુધી ફેલાયો રોગચાળો, આરોગ્ય વિભાગ એલર્ટ

2026-07-19 11:51:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આ વાયરસ રાજ્ય માટે ચિંતાનો વિષય બની ગયો છે. અત્યાર સુધીમાં 12થી વધારે બાળકોનો ભોગ ચાંદીપુરા વાયરસે લીધો છે. હવે અત્યારે ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયાં જિલ્લા આરોગ્ય વિભાગ સર્તક બની ગયું અને તપાસ શરૂ કરી દીધી છે. ભાવનગર સાથે સાથે જામનગરમાં પણ બે વર્ષીય બાળકીનું મોત થયું છે. જો કે, આ આ બાળકીનો હજી રિપોર્ટ આવ્યો આવ્યો નથી, પરંતુ તેનું મોત પણ ચાંદીપુરાના કારણે થઈ હોવાની આશંકા છે. 

ચાંદીપુરા વાયરસના કારણે આરોગ્ય વિભાગ સતર્ક

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના નવા કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. 
મળતી વિગતો પ્રમાણે પંચમહાલમાં વધું ત્રણ બાળકો ચાંદીપુરા વાયરસના ઝપેટમાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે, આ સાથે જિંલ્લામાં કુલ 20 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ બાળકોનું મોત થઈ ગયું હોવાથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. 
 

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મોત

સાબરકાંઠાની વાત કરવામાં આવે તો, અહીં ચાંદીપુરાના કુલ 7 નવા કેસ નોંધાયા છે. જો કે, તેમાં એક જ બાળકોને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, બાકીના 6 બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે એક બાળકની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે બે બાળકો વડનગરની સિવિલમાં સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોના મોત થયાં છે. 

આરોગ્ય વિભાગ દ્વારા સતર્ક રહેવા માટે અપીલ

આ સ્થિતિને ધ્યાનમાં રાખતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે, જો બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ આવવી, બેભાન થયું જેવા લક્ષણો દેખાય તો સત્વરે નજીકની હોસ્પિટલમાં જઈને સારવાર કરાવવી. આ સાથે દરેક વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.