રાયપુર : ઝારખંડમાં સરકારી તિજોરીમાંથી સરકારી કર્મચારીઓ દ્વારા નાણાંની ઉચાપતના બોકારો ટ્રેઝરી કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડીએ રૂપિયા કરોડના ભંડોળનો સોર્સ શોધ્યો છે. તેમજ સીઆઈડીએ પોલીસ વિભાગના ટ્રેઝરીના એકાઉન્ટન્ટ અને બે પોલીસ કર્મીની ધરપકડ કરી છે.
બે ફિક્સ્ડ ડિપોઝીટ ફ્રિઝ કરી દીધી
આ અંગેની મહિતી મળ્યા બાદ વિભાગે 1.8 કરોડ રૂપિયા અને 18 લાખ રૂપિયાની બે ફિક્સ્ડ ડિપોઝીટ ફ્રિઝ કરી દીધી છે. જેને બોકરો ટ્રેઝરીમાંથી અનેક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ અંગે ઝારખંડ સીઆઈડીએ જણાવ્યું કે આ કેસમાં તેમણે બોકારો પોલીસ વિભાગના એકાઉન્ટન્ટ કૌશલ કુમાર પાંડે અને અન્ય બે પોલીસ કર્મીઓની ધરપકડ કરી છે.
ત્રણે કર્મચારીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
સીઆઈડીએ ધરપકડ કરેલા એએસઆઈ અશોક કુમાર ભંડારીના નિવાસેથી દરોડામાં કથિત ગેરકાયદે સંપત્તિ સાથે જોડાયેલા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં બોકારોમાં જમીનનો પ્લોટ અને ત્રણ માળના વૈભવી મકાન પર સામેલ છે. તેમની સંપત્તિમાં સીઆઈડીએ ભારતીય ન્યાય સંહિતા (BNS)અને આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જયારે કેસમાં સંડોવાયેલા ત્રણે કર્મચારીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
રૂપિયા 6 કરોડની ઉચાપત કેસમાં ધરપકડ
જયારે અહેવાલો અનુસાર કૌશલ કુમાર પાંડેએ રામ નરેશ સિંહ, ઉપેન્દ્ર સિંહ, એસ. કુમાર અને અન્ય ઘણા લોકોના નામનો ઉપયોગ કરીને ટ્રેઝરીના પગાર વિતરણ ખાતામાંથી રૂપિયા 6 કરોડથી વધુ રકમની ઉચાપત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ વિભાગની એકાઉન્ટ્સ શાખામાં નાણાકીય ઉચાપત
તેમજ આ કેસમાં ટ્રેઝરી ઓફિસર ગુલાબ ચંદ ઓરાઓન દ્વારા બોકારો સ્ટીલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જયારે 8 એપ્રિલના રોજ, હજારીબાગ જિલ્લામાં પોલીસ વિભાગની એકાઉન્ટ્સ શાખામાં કાર્યરત ત્રણ કર્મચારી શંભુ કુમાર, રજનીશ સિંહ અને ધીરેન્દ્ર સિંહ ની છેલ્લા આઠ વર્ષમાં બે બેંક ખાતાઓમાંથી રૂપિયા 15.41 કરોડની ઉચાપત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી
સિંહભૂમ જિલ્લા ટ્રેઝરીમાંથી રૂપિયા 27 લાખની ઉચાપતનો કેસ પ્રકાશમાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલના રોજ પશ્ચિમ સિંહભૂમ જિલ્લા ટ્રેઝરીમાંથી રૂપિયા 27 લાખની ઉચાપતમાં કથિત સંડોવણીના આરોપસર એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસના ખુલાસા બાદ ચાઈબાસા ટ્રેઝરી ઓફિસર સુમિત કુમાર સિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદનના આધારે મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
28 એપ્રિલના રોજ પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી
આ તપાસ દરમિયાન 28 એપ્રિલના રોજ પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જ્યારે સરકારી ભંડોળમાંથી છેતરપિંડીથી ઉપાડ અંગેના અહેવાલોને ધ્યાનમાં રાખીને રાજ્યના નાણામંત્રી રાધા કૃષ્ણ કિશોરે તમામ જિલ્લા તિજોરીઓનું વ્યાપક ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો.