બીડ: બીડ જિલ્લામાં મોટરસાઇકલ પર નીકળેલા ગામના નાયબ સરપંચનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં રસ્તાને કિનારે મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રારંભિક તપાસમાં એ અકસ્માત હોવાનું લાગી રહ્યું છે, પરંતુ પોલીસ હત્યાની શક્યતા પણ તપાસી રહી છે, અધિકારીએ જણાવ્યું હતું.
મજલગાંવ તહેસીલના બાભવગાંવના નાયબ સરપંચ વૈજનાથ વિઠ્ઠલ લાટેનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં બાભલગાંવ-ભોપા માર્ગ પર બુધવારે વહેલી સવારે મળી આવ્યો હતો. તેની મોટરસાઇકલ પર નજીકમાં પડેલી હતી અને તેને ખાસ્સું નુકસાન થયું હતું.
વૈજનાથ લાટે મોટરસાઇકલ પર મંગળવારે રાતે બાભલગાંવ-ભોપા માર્ગ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હોવાનું પોલીસને લાગી રહ્યું છે. બુધવારે સવારે સ્થાનિક યુવકોને રસ્તાને કિનારે વૈજનાથનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની મોટરસાઇકલ નજીકમાં પડેલી હતી. યુવકોએ તાત્કાલિક ગામવાસીઓને અને પોલીસને તેની જાણ કરી હતી, જેને પગલે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.
પોલીસે પંચનામું કર્યા બાદ વૈજનાથના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આવ્યો હતો. પોલીસ અધિકારીઓ વૈજનાથની મોટરસાઇકલને થયેલું નુકસાન, ઘટનાસ્થળ પરના નિશાન અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની તપાસ કરી રહ્યા છે, જેથી ઘટના કેવી રીતે બની અને મૃત્યુ કેવી રીતે થયું તે જાણી શકાય. (પીટીઆઇ)