બનાસકાંઠાઃ ગુજરાતમાં વધુ એક કલંકકથા સામે આવી છે. સસરો મૂક બધિર પૂત્રવધૂને હવસનો શિકાર બનાવતો હતો. દીકરી ભાગીને પિયર આવી હતી. મહિલા સહાયતા કેન્દ્રમાં દીકરીએ ઈશારાથી વાતચીત કરતાં સસરાની કરતૂત સામે આવી હતી.
ક્યાંનો છે આ કલંકિત બનાવ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાલનપુર પંથકની એક મૂક બધિર દીકરીના લગ્ન 5 વર્ષ પહેલાં થયા હતા. સસરાના ત્રાસ અને શારીરિક અપડપલાં અને હવસથી કટાળીને છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં આવી હતી. પિયર આવ્યા બાદ તે સાસરે જવા તૈયાર નહોતી તેમજ ગુમસુમ રહેતી હતી.
દીકરીની આ સ્થિતિ જોઈને તેની માતા તેને પાલનપુર મહિલા સહાયતા કેન્દ્રમાં લઈ ગઈ હતી. આ કેન્દ્રના કાઉન્સિલરે તેની સાથે હાથના ઈશારાથી વાતચીત કરી હતી. જેનાથી સસરાની કરતૂત સામે આવી હતી. જે બાદ મહિલા કેન્દ્ર દ્વારા બંને પક્ષોને બોલાવીને મીટિંગ કરવામાં આવી. કાયદાના ડર અને સમજાવટને કારણે સસરાએ સમાજના પંચ અને પરિવારની સામે પોતાની ગંભીર ભૂલ સ્વીકારી લીધી અને ભવિષ્યમાં આવું ન કરવાની લેખિત ખાતરી આપી હતી.
દીકરી અને તેનો પરિવાર કોર્ટ કે પોલીસ કેસ કરીને ઘર સંસાર તોડવા નહોતા માંગતા. આથી વચલો રસ્તો કાઢવામાં આવ્યો કે દીકરી અને તેનો પતિ હવે સસરાથી દૂર રહીને અલગ મજૂરી કામ કરશે. કાઉન્સિલરના પ્રયાસોથી દીકરીનો સંસાર બચી ગયો અને તે હવે પતિ સાથે અલગ રહેવા ગઈ છે.