બીજે મેડિકલની વિદ્યાર્થિનીનો આપઘાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના ત્રણ અલગ અલગ કિસ્સા જાણવા મળ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓના ભણતરના ભારણ સહિત અન્ય મુદ્દે ચિંતાનું કારણ ઊભું થયું છે. અમદાવાદમાં આવેલી બીજે મેડિકલ કોલેજમાં એક દુ:ખદ ઘટના ઘટી છે. અહીં 19 વર્ષીય એમબીબીએસની વિદ્યાર્થિનીએ હોસ્ટેલ રૂમમાં આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના સોમવારે બપોરે બની હતી. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી છે, જે તેણે તેની માતાને સંબોધીને લખી હતી. પ્રાથમિક તપાસ મુજબ, યુવતીએ સ્યૂસાઈડ નોટમાં પોતાને નિર્બળ ગણાવીને પોતાના જીવન પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી.
વિદ્યાર્થિનીએ માતાને સંબોધીને સુસાઈડ નોટ લખી
મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદની વતની આ યુવતી અમદાવાદ અભ્સાય કરવા માટે આવી હતી. નીટની પરીક્ષા પાસ કરીને તેણે બીજે મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન લીધું હતું, પરંતુ મેડિકલનો અભ્યાસ તેને અઘરો લાગ્યો હતો. હજી બીજા સેમિસ્ટરમાં તે અભ્યાસ કરી રહી હતી. સુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે, તેના સહાધ્યાયીઓ તેની સાથે મિત્રતા કરવા માંગતા હતા, પરંતુ તે સામાજિક રીતે જોડાઈ શકતી નહોતી અને એકલતા અનુભવતી રહી. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી હાથ ધરાયેલી તપાસમાં સુસાઇડ નોટ સિવાય કોઈ બાહ્ય કારણ કે અન્ય વિવાદ હોવાનું જાણવા મળ્યું નથી.
લગ્ન નહીં થતા હોવાના કારણે યુવકે કરી આત્મહત્યા
બીજી ઘટનાની વાત કરવામાં આવે તો સુરતમાં પણ અમરોલી વ્રજ રેસિડેન્સીમાં રહેતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રાના જણાવ્યા પ્રમાણે લગ્ન નહીં થતા હોવાના કારણે તેણે ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતદી. આત્મહત્યા કરતા પહેલા યુવકે સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘હું જીવનથી કંટાળી ગયો છું. મારે જીવનમાં એક પણ રૂપિયાનું લેણું નથી અને મમ્મી-પપ્પા હું હારી ગયો છું. હું આ પગલું ભરી લઉં છું, મને માફ કરી દેજો’. પોલીસે આ કેસમાં પણ આગળની તપાસ શરૂ કરી દીધી હતી.
બીસીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત
ત્રીજી ઘટનાની વાત કરવામાં આવે તો લોખંડના પાઇપ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી એક યુવકે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ યુવકનું નામ શર્મિલ હતું, જે મૂળ બોટાદ જિલ્લાના સમઢીયાળા ગામના વતની હતો અને વેડરોડ વિસ્તારમાં આવેલ ભગુનગર સોસાયટીમાં રહેતો હતો. બીસીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા શર્મિલે અભ્યાસના તણાવમાં આવી પોતાની જીનવલીલા સંકેલી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.