Wed Jul 01 2026

Logo

અમદાવાદના સાબરમતી આશ્રમના નવીનીકરણનું કામ પૂરજોશમાં, 22  મકાનોનું રિસ્ટોરેશન કામ પૂર્ણ...

2026-02-13 17:12:25
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી આ પ્રોજેક્ટ અંતર્ગત 28 જેટલા મકાનોના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાંથી 22નું કામ પૂર્ણ થઈ ગયું છે અને સમગ્ર રિસ્ટોરેશન કામગીરી માર્ચ-26 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 

98 હજાર જેટલા નાના-મોટા ઝાડ-છોડનું પ્લાન્ટેશન

સાબરમતી આશ્રમના આ નવીનીકરણમાં ગ્રીન ગ્રોથને અગ્રતા આપવા અત્યાર સુધીમાં 98 હજાર જેટલા નાના-મોટા ઝાડ-છોડનું પ્લાન્ટેશન થઈ ગયું છે અને માર્ચ-26 સુધીમાં વધુ 16 હજાર પ્લાન્ટેશનની કાર્યવાહી થઈ રહી છે તેમ પણ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. હાલ  સાબરમતી આશ્રમનું અદ્યતનીકરણ અને નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આ કામગીરીની સર્વગ્રાહી પ્રગતિનો ચિતાર

આ સંદર્ભમાં સાબરમતી આશ્રમના હાથ ધરાઇ રહેલા વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠકમાં કરવામાં આવી હતી.
એક્ઝિક્યુટીવ કાઉન્સિલના ચેરમેન આઈ.પી ગૌતમે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આ કામગીરીની સર્વગ્રાહી પ્રગતિનો ચિતાર આપ્યો હતો. શ્રમદાનના પૂજ્ય બાપુના વિચારને આશ્રમની પ્રવૃતિઓ સાથે જોડીને આશ્રમની મુલાકાતે આવનારા મુલાકાતીઓ ખાસ કરીને યુવાઓ વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં કઈ રીતે સહભાગી થઈ શકે તે દિશામાં પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા–પરામર્શ થયા હતા. તેમજ ગવર્નિગ કાઉન્સિલની અગાઉની બેઠકના એજન્ડાને બહાલી આપવામાં આવી હતી. 

ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો પણ હાજર રહ્યા હતા 

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો સાંસદ  નરહરી અમીન,  કાર્તિકેય સારાભાઈ,  જયેશ પટેલ તેમજ મુખ્ય સચિવ  એમ. કે. દાસ, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ  રાહુલ ગુપ્તા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ  ડો. વિક્રાંત પાંડે, પ્રવાસન સચિવ કુલદીપ આર્ય અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરીયલ ટ્રસ્ટના ઓ.એસ.ડી.આઈ. કે. પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.