(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં ક્રાઇમની ઘટનાઓના અહેવાલોની વચ્ચે શહેરના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (જેસીપી)પર હુમલો થયો હોવાની ઘટનાએ ખળભળાટ મચી ગઈ હતી. અમદાવાદના ચડોળા તળાવ વિસ્તારમાં એક આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવાં આવ્યો હતો, જેમાં જેસીપી શરદ સિંઘલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા હતા.
મળતી વિગતો અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં વોન્ટેડ આરોપી હાજર હોઇ તેને ઝડપી લેવા માટે પોલીસની ટીમ ચંડોળા તળાવ પહોંચી હતી. આ જોઈને આરોપીએ પોલીસ પકડથી નાસવાના પ્રયાસ કર્યા હતા, જો કે પોલીસની પકડથી બચવા માટે આરોપીએ જેસીપી શરદ સિંઘલ પર છરી વડે હુમલો કરતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.
જેના વળતાં પ્રહારમાં પોલીસે ગોળીબાર કરતાં આરોપીને પગના ભાગે ગોળી વાગી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત પોલીસ અધિકારી અને આરોપી બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તે ઉપરાંત આરોપી પાસેથી 4 હથિયારો જપ્ત કરવામાં આવ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.