પશ્ચિમ બંગાળ સરકારે નેતાની સુભાષચંદ્ર બોઝ અંગે વાંધાજનક ટિપ્પણી બાદ ભાજપના રાજ્યસભા સાંસદ અનંત મહારાજ ઉર્ફે નાગેન્દ્ર રોય પાસેથી 'બંગ બિભૂષણ' એવોર્ડ પાછો ખેંચી લીધો છે.
'બંગ બિભૂષણ' પુરસ્કાર તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવાયો
આ અંગે પશ્ચિમ બંગાળના માહિતી અને સાંસ્કૃતિક બાબતો વિભાગે ગુરુવારે આ અંગેનો આદેશ જાહેર કર્યો હતો. આ આદેશમાં જણાવાયું છે કે 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ નાગેન્દ્ર રોયને આપવામાં આવેલ 'બંગ બિભૂષણ' પુરસ્કાર તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવે છે અને રદ કરવામાં આવે છે.
વિશેષાધિકારો અથવા લાભોનો દાવો કરી શકશે નહીં
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે અનંત મહારાજ હવે પોતાને આ સન્માનના પ્રાપ્તકર્તા તરીકે ઓળખાવી શકશે નહીં કે તેઓ તેની સાથે સંકળાયેલ કોઈપણ માન્યતા, વિશેષાધિકારો અથવા લાભોનો દાવો કરી શકશે નહીં.તેમજ સંબંધિત અધિકારીઓને તમામ સત્તાવાર રેકોર્ડ અને 'બંગ બિભૂષણ' પ્રાપ્તકર્તાઓની યાદીમાંથી તેમનું નામ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
સુભાષ ચંદ્ર બોઝને 'યુદ્ધ ગુનેગાર' ગણાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, સાંસદ નાગેન્દ્ર રોય ઉર્ફે અનંત મહારાજે તાજેતરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને 'યુદ્ધ ગુનેગાર' ગણાવ્યા હતા. તેમણે નેતાજીના નેતૃત્વ અને સ્વતંત્રતા સંગ્રામમાં આઝાદ હિંદ ફોજની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ટિપ્પણીઓએ પશ્ચિમ બંગાળમાં રાજકીય વિવાદ ઉભો કર્યો હતો.
નેતાજી વિરુદ્ધ ટિપ્પણી અંગે સીએમની કડક કાર્યવાહીની સૂચના
જ્યારે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ નિર્દેશ આપ્યો હતો કે સોશિયલ મીડિયા પર નેતાજીને લક્ષ્ય બનાવતી વાંધાજનક ટિપ્પણીઓ, ખોટી માહિતી અને મીમ્સ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે પોલીસને આવા કિસ્સાઓમાં ધરપકડ કરવા સહિત કડક પગલાં લેવા સૂચના આપી હતી.