Sun Jul 26 2026

Logo

આનંદીબેન પટેલે કહ્યું મહિલાઓએ પરિવારના ભોગે વ્યવસાયિક સફળતા ના મેળવવી જોઇએ

2026-07-10 20:00:33
Author: Chandrakant Kanoja
Article Image

કાનપુર: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન  પટેલે મહિલાઓને એક મહત્વની સલાહ આપી છે. તેમણે કાનપુરમાં છત્રપતિ શાહુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં જણાવ્યું હતું કે મહિલાઓએ આઇએએસ કે શિક્ષક બનતા પૂર્વે એક કુશળ માતા બનવું જોઇએ. તેમણે પરિવારની જવાબદારીઓ પર ભાર મુકતા જણાવ્યું હતું કે મહિલાઓએ પરિવારના ભોગે વ્યવસાયિક સફળતા ના મેળવવી જોઇએ. 

દીકરીઓએ લગ્ન પછી પોતાનો અભ્યાસ ના છોડવો જોઈએ

આ ઉપરાંત રાજ્યપાલે જણાવ્યું હતું કે દીકરીઓએ લગ્ન પછી પોતાનો અભ્યાસ ના છોડવો જોઈએ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે માતાપિતાને કહ્યું કે ફક્ત પોતાના બાળકોને માત્ર ભણવા મોકલે છે તેની સાથે તે  કોલેજમાં શું કરી રહ્યા છે તેનો ખ્યાલ રાખવો જોઇએ.

ડ્રગ્સના દૂષણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી 

દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલે યુનિવર્સિટી હોસ્ટેલ નજીક ડ્રગ્સના દૂષણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે એક તપાસ ટીમે ફૂડ ડિલિવરી પેકેજો દ્વારા ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું શોધી કાઢ્યું હતું.

ડિગ્રીઓનું વિતરણ કરવાથી સમાજ નહીં સુધરે

તેમણે સમાજ સુધાર પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને ઘરેલુ હિંસાને નૈતિક મૂલ્યોના પતન સાથે જોડી હતી. તેમજ કહ્યું કે  ફક્ત ડિગ્રીઓનું વિતરણ કરવાથી સમાજ નહીં સુધરે.