Wed Jul 29 2026

Logo

તમિલનાડુમાં ભાજપ માટે ખરાખરીનો જંગ, અન્નામલાઈને સાઈડલાઈન કરશે, કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી

2026-04-03 17:07:29
Author: Vimal Prajapati
Article Image

ચેન્નઈ: ચૂંટણી આયોગે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરવા માટે મેદાને આવી ગઈ છે. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ આજે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં 27 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. કોંગ્રેસની યાદી જાહેર થયા પહેલાં ભાજપે પણ પોતાના 27 ઉમેદવારોના નામોની ઘોષણા કરી હતી. કોંગ્રેસ અત્યારે આ ચૂંટણીમાં જીતવા માટે સક્ષમ ઉમેદવારોને મેદાને ઉતાર્યા હોવાનું પાર્ટીએ જણાવ્યું છે. 

કોંગ્રેસે પહેલી યાદીમાં 27 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

આ વખતે તમિલનાડુની ચૂંટણીમાં ટક્કર કડક રહેવાની છે. અહીં સ્થાનિક પાર્ટીઓ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ પણ પોતાનો જોર દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીની આ યાદીની વાત કરીએ તો તેમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે. સેલ્વાપેરુમ્થાગીને શ્રીપેરંબદુર બેઠકમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ વખતે કોંગ્રેસે પોન્નેરી વિધાનસભા બેઠકમાંથી વિધાયક અને વરિષ્ઠ નેતા દુરઈ ચંદ્રશેખરને કોંગ્રેસે ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે કૃષ્ણાગિરી વિધાનસભા બેઠકથી ડૉ. એ. ચેલ્લા કુમાર, વેલાચેરીથી જે.એમ.એચ. આસન મૌલાના, શોલિંગુરથી એ.એમ. મુનિરાથિનમ અને ઉથંગરાઈથી આર. કુપ્પુ સામીને ટિકિટ આપી છે. 

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે સાથે ભાજપ દ્વારા 27 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોની વાત કરવામાં આવે તો, પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે માયલાપોર માટે ડૉ. તમિલિસાઈ સુંદરરાજનને ચૂંટણી ટિકિટ આપી છે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 23 એપ્રિલે થવાનું છે. રાજ્યમાં કુલ 234 વિધાનસભા બેઠકો માટે મતદાન એક જ તબક્કામાં થશે. ભાજપ તમિલનાડુમાં અન્નામલાઈને સાઈડલાઈન કરશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

ભાજપે 27 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, છતાં પાર્ટીના ગતિશીલ નેતા કે. અન્નામલાઈનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કે. અન્નામલાઈ તમિલનાડુમાં સિંઘમ તરીકે જાણીતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તમિલનાડુમાં ભાજપને મજબૂત કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર કે.અન્નામલાઈનું નામ બાકાત રાખવું એ આશ્ચર્યજનક છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, પાર્ટી તેમને ટિકિટ નથી આપવાની! અન્નામલાઈને ટિકિટ નથી આપવામાં આવી તેમ છતાં પણ પાર્ટીની નિર્ણયને સમર્થન આપ્યું છે. 

આ દરમિયાન નિવેદન આપતા કે.અન્નામલાઈએ પીએ મોદીના વખાણ કર્યાં છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, દેશે શક્તિ અને વિકાસ સાથે આગળ વધવાનું શીખી લીધું છે. ડીએમકે સરકાર પર હુમલો કરતા અન્નામલાઈએ તેને નિષ્ફળ, ઘમંડી અને સ્વાર્થી સરકાર ગણાવી છે. વધુમાં કહ્યું કે, એક પક્ષના કાર્યકર તરીકે કામ કરીને, તેઓ બધા ભાજપ અને એનડીએ ઉમેદવારો સાથે પ્રચાર કરશે અને ગઠબંધન માટે 210 બેઠકો મેળવવાનો પ્રયાસ કરશે.