લોકસભા સ્પીકરના નિર્ણય સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાની ના પાડી
નવી દિલ્હી/મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાંથી શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT) માટે માઠાં સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા શિવસેના ઠાકરે જૂથના છ સંસદસભ્ય શિવસેના શિંદે જૂથમાં જોડાયા હતા. આ એમપીના જૂથના વિલીનીકરણને લોકસભા સ્પીકરે સત્તાવાર રીતે મંજૂરી આપ્યા બાદ શિવસેના ઠાકરે જૂથે લોકસભા સ્પીકરના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, હવે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાંથી મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે.
શિવસેના ઠાકરે જૂથે લોકસભા સ્પીકરે આપેલા આ નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે લોકસભા સ્પીકરના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકસભા સ્પીકર અને છ સંસદસભ્યોએ બે અઠવાડિયામાં આનો જવાબ આપવો જોઈએ.
એક તરફ ઉદ્ધવ ઠાકરે માટે આ એક મોટો આંચકો છે, પરંતુ બીજી તરફ, શિવસેના શિંદે જૂથના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મોટી રાહત મળી છે.
શિવસેનામાં ભાગલા પડ્યા બાદ થોડા દિવસો પહેલા શિવસેના ઠાકરે જૂથમાં બીજો મોટો બળવો જોવા મળ્યો હતો. શિવસેના ઠાકરે જૂથના 9 સંસદસભ્યમાંથી 6 એમપી ઉદ્ધવ ઠાકરે છોડીને શિવસેના શિંદે જૂથમાં જોડાયા હતા. આ છ એમપી શિવસેના શિંદે જૂથમાં જોડાતાની સાથે રાજ્યમાં શિવસેના શિંદે જૂથની તાકાત વધી ગઈ છે. શિવસેના શિંદે જૂથના સંસદ સભ્યોની સંખ્યા તેર પર પહોંચી ગઈ છે.
આ દરમિયાન, લોકસભા અધ્યક્ષે પણ આ સંસદ સભ્યોને શિવસેના શિંદે જૂથ સાથે વિલય કરવાની મંજૂરી આપી હતી. લોકસભા અધ્યક્ષે વિલયની મંજૂરી આપ્યા બાદ, શિવસેના ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
લોકસભા અધ્યક્ષના આ નિર્ણય પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે લોકસભા અધ્યક્ષના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી અદાલતે કહ્યું છે કે લોકસભા અધ્યક્ષ અને છ સંસદસભ્યોએ બે અઠવાડિયામાં આ સંદર્ભમાં જવાબ આપવો જોઈએ.