સમાલખાઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)એ વિશ્વમાં શાંતિનું આહ્વાન કર્યું હતું તેમ જ કેન્દ્ર સરકાર રાષ્ટ્રના સર્વોચ્ચ હિતમાં તમામ પગલાં લઇ રહી હોવાનું જણાવ્યું હતું.
સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ જણાવ્યું કે યુદ્ધ શક્ય એટલું જલ્દી સમાપ્ત થવું જોઇએ. જેથી કરીને લોકો તેમના સામાન્ય જીવનમાં પાછા ફરી શકે. તેઓ સંઘની ટોચની નિર્ણય લેતી સંસ્થા અખિલ ભારતીય પ્રતિનિધિ સભા(એબીપીએસ)ની ત્રણ દિવસીય બેઠક પર મીડિયા બ્રીફિંગ દરમિયાન પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ વિશે પૂછતા આરએસએસ મહાસચિવે જણાવ્યું કે અમે વિશ્વમાં શાંતિ ઇચ્છીએ છીએ. તેમણે કહ્યું કે આપણું વિઝન વિશ્વ શાંતિ છે. યુદ્ધ ઘણા કારણોસર થાય છે. તેથી આ ચોક્કસ સંઘર્ષના સંદર્ભમાં અમે ઇચ્છીએ છીએ કે તે શક્ય તેટલું જલ્દી સમાપ્ત થઇ જાય.
સામાન્ય લોકોનું જીવન કોઇપણ પ્રકારના વિલંબ વિના સુખ અને શાંતિની સ્થિતિમાં પાછું ફરે. હોસાબલેએ કહ્યું કે તેઓ યુદ્ધ પાછળના કારણોનું વિશ્લેષણ કરશે નહીં.