કટરા: જમ્મુ કાશ્મીરના કટરામાં હવામાનમાં સુધારો થયા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહત્વપૂર્ણ બેટરી કાર રૂટ ફરીથી ખોલી દીધો છે. જેના લીધે શ્રદ્ધાળુઓ રાહત અનુભવી છે. તેમજ બેટરી કાર સેવા ફરી શરૂ થવાથી ભવન તરફ જતા લોકોને નોંધપાત્ર રાહત મળી છે.
ત્રિકુટા પર્વતો પર વાદળછાયુ વાતાવરણ
આ અંગે મળતી માહિતી મુજબ બુધવારે કટરા અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં સુધાર આવ્યો હતી. જોકે, ત્રિકુટા પર્વતો પર વાદળછાયુ વાતાવરણ હોવાથી હેલિકોપ્ટર સેવાઓ પ્રભાવિત થઈ હતી.
બુધવારે 15 હજાર શ્રદ્ધાળુઓએ માતાના દર્શન કર્યા
આ ઉપરાંત મુસાફરીના અન્ય તમામ મુખ્ય માર્ગો ખુલ્લા રહ્યા અને ઘોડા, ગાડી અને પાલખી જેવી સેવાઓ ચાલુ રહી હતી. હાલ દરરોજ 16 હજારથી 21 હજાર જેટલા શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. બુધવારે 15 હજાર અને મંગળવારે લગભગ 20 હજાર શ્રદ્ધાળુઓએ માતાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.
યાત્રા માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા
જોકે, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં યાત્રા માર્ગ પર શ્રાઇન બોર્ડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, વહીવટીતંત્ર, પોલીસ અને સીઆરપીએફ કર્મચારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જેથી દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ મા વૈષ્ણોદેવીના દર્શન સુરક્ષિત અને સુવિધાજનક રીતે કરી શકે.