રતલામ: મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં મોહરમના જુલુસ દરમિયાન એક દુઃખદ દુર્ઘટના સર્જાય હતી. જેમાં જુલુસમાં લઈ જવામાં આવી રહેલ તાજિયા હાઈ-ટેન્શન પાવર લાઈનને અડકી જતાં તેને લઈ જતા લોકોને વીજ કરંટ લાગ્યો હતો. આ બનવામાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક રતલામ મેડિકલ કોલેજ સહિત શહેરની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટના રતલામ નજીકના હતનારા ગામમાં બની હતી. મળી રહેલી વિગતો અનુસાર, તાજિયાના જુલૂસમાં અંદાજે 200 લોકો ભાગ લઈ રહ્યા હતા. અ દરમિયાન, તાજિયા જમીનથી આશરે 20 ફૂટ ઉપરથી પસાર થતી હાઇ-ટેન્શન લાઇન સાથે અડી ગયો હતો અને તેના કારણે તાજિયા લઈ જનારાઓને વીજ કરંટ લાગ્યો હતો.
આ ઘટના બાદ ભાગદોડ મચી ગઈ હતી. વીજ કરંટ અને ભાગદોડથી ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન, રતલામ મેડિકલ કોલેજ દ્વારા ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી, જો કે હજુ પણ ઘણા લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું. અ ઘટનાની જાણ થતાની સાથે જ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.