Fri May 01 2026

Logo

રામાયણમાં હનુમાનજીને શક્તિ યાદ અપાવનાર 'જામવંત' અત્યારે ક્યાં છે?

2026-02-27 22:24:57
Author: Tejas
Article Image

મુંબઈ: ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં રામાનંદ સાગરની રામાયણ એક એવી સિરિયલ છે જેણે સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 39 વર્ષ વીતી ગયા હોવા છતાં આ શોના દરેક પાત્રો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. રામ, સીતા અને હનુમાનના પાત્રોની સાથે જામવંતનું પાત્ર ભજવનાર અભિનેતા શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાયે પણ દર્શકો પર ઊંડી છાપ છોડી હતી. લાંબા સમયથી ગ્લેમરની દુનિયાથી દૂર રહેલા આ કલાકાર વિશે જાણવા માટે આજે પણ ચાહકોમાં એટલી જ ઉત્સુકતા જોવા મળે છે.

રામાયણની વાર્તામાં જામવંતનું પાત્ર અત્યંત મહત્વનું હતું, કારણ કે તેમણે જ હનુમાનજીને તેમની વિસરાઈ ગયેલી શક્તિઓ યાદ અપાવી હતી. શ્રીકાંત રાજશેખરે આ પાત્ર માટે આખો સમય વાનરના ગેટઅપમાં રહીને શૂટિંગ કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આખી સિરિયલ દરમિયાન તેમનો અસલી ચહેરો ક્યારેય દેખાયો નહીં, પરંતુ તેમના પ્રભાવશાળી અવાજ અને અભિનયના જોરે તેઓ ઘરે-ઘરે જાણીતા બન્યા હતા. લંકા યુદ્ધમાં શ્રી રામના મુખ્ય વ્યૂહરચનાકાર તરીકેની તેમની ભૂમિકા આજે પણ યાદગાર ગણાય છે.

ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આટલી સફળતા મેળવ્યા બાદ શ્રીકાંત ઉપાધ્યાય અત્યારે શું કરી રહ્યા હશે? તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ પ્રેમાનંદ મહારાજ સાથે આધ્યાત્મિક ચર્ચા કરતા જોવા મળે છે. કોરોના કાળ દરમિયાન તેમણે મુંબઈની માયા નગરી છોડીને પોતાના વતન જવાનો નિર્ણય લીધો હતો. હાલમાં તેઓ શોબિઝથી દૂર રહીને પોતાના ઘરે રામકથા સંભળાવે છે અને ભક્તિમય જીવન વિતાવી રહ્યા છે.

શ્રીકાંત રાજશેખરની જામવંત તરીકેની પસંદગી પાછળ પણ એક રસપ્રદ કિસ્સો છે. રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરે તેમને 'વિક્રમ વેતાળ'માં કામ કરતા જોયા હતા અને ત્યાંથી જ તેમને રામાયણ માટે શોર્ટલિસ્ટ કર્યા હતા. શરૂઆતમાં તેમને વિભીષણના રોલ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ નિર્દેશકો તેમના ગંભીર અને સારા અવાજ જોતા, તેને જામવંતના પાત્ર માટે ફાઈનલ કરવામાં આવ્યા. રામાયણ ઉપરાંત તેઓ 'જય હનુમાન', 'મહાભારત' અને 'અદાલત' જેવી લોકપ્રિય સિરિયલોમાં પણ જોવા મળ્યા હતા.