Mon Jul 27 2026

Logo

તમિલનાડુમાં વિજયના સીએમ બનવા અંગે સુપરસ્ટાર રજનીકાંતે તોડ્યું મૌન, કરી મોટી વાત!

2026-05-17 14:38:00
Author: Vimal Prajapati
Article Image

ચેન્નાઈઃ તમિલ સિનેમાના મહાનાયક રજનીકાંતે રવિવારે સવારે ચેન્નાઈના પોએસ ગાર્ડન સ્થિત પોતાના નિવાસસ્થાને અચાનક એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ બોલાવીને રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવી દીધો છે. તમિલનાડુ ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ રજનીકાંતના મૌનને લઈને મીડિયા અને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી, જેનો સુપરસ્ટારે પોતે જડબાતોડ જવાબ આપ્યો છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ ચૂંટણીઓમાં સાઉથના અન્ય એક મોટા સ્ટાર સી. જોસેફ વિજયની પાર્ટી TVK ને ઐતિહાસિક જીત મળી છે અને તેઓ મુખ્ય પ્રધાન બન્યા છે. રજનીકાંતની ખામોશી જોઈને કેટલાક લોકો દાવો કરી રહ્યા હતા કે તેઓ પરિણામોથી ખુશ નથી, તો વળી કેટલાક પક્ષોના વિલીનીકરણની અફવા ઉડાવી રહ્યા હતા. હવે આ તમામ ટીકાઓ પર થલાઈવાએ આકરા શબ્દોમાં સ્પષ્ટતા કરી અને પોતાનો જવાબ આપ્યો છે. 

એમ.કે. સ્ટાલિન સાથેની મુલાકાત પર શું કહ્યું?

પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરતા રજનીકાંતે સ્પષ્ટ કર્યું કે, ‘જો તેઓ આજે ચૂપ રહ્યા હોત તો અફવાઓને જ લોકો સાચું માની લેવામાં આવ્યું હોત! આ પ્રેસ કોન્ફરન્સ એટલે કરી રહ્યો છું કારણ કે ચૂંટણીને લઈને મારા વિશે સોશિયલ મીડિયા પર મનઘડંત વાતો થઈ રહી છે. પરિણામો આવ્યા બાદ હું એમ.કે. સ્ટાલિનને મળવા ગયો હતો, જેને વિવાદનો વિષય બનાવી દેવાયો. લોકોએ સમજવું પડશે કે અમારી મિત્રતા રાજકારણથી ઘણી ઉપર છે.

વધુમાં રજનીકાંતે કહ્યું કે, ‘મને વ્યક્તિગત રીતે એ વાતનું ઘણું દુઃખ છે કે એમ.કે. સ્ટાલિન કુલાથુર બેઠક પરથી ચૂંટણી હારી ગયા. રજની એટલો સસ્તો કે નીચલા સ્તરનો માણસ નથી કે કોઈ પણ વાત પર રાજકારણ રમે. જેમ કે મુખ્યમંત્રીએ જીત નોંધાવી, મેં તરત જ તેમને અભિનંદન આપ્યા હતા’. રજનીકાંત એમ.કે. સ્ટાલિનની હાર પર દુઃખ પણ વ્યક્ત કર્યું અને સાથે વિજય મુખ્ય પ્રધાન બન્યા તે અંગે ખુશી પણ વ્યક્ત કરી હતી. 

વિજયની ઐતિહાસિક જીત પર શું બોલ્યા થલાઈવા?

વિજયના રાજકારણમાં આવવા અને સીધા મુખ્ય પ્રધાનની ખુરશી સંભાળી તે અંગે પણ વાત કરી હતી. કહ્યું કે, વિજય મુખ્ય પ્રધાન બન્યો તે જાણીને મને આશ્ચર્ય થયું હતું. રજનીકાંતે કહ્યું કે, ‘હું હવે રાજકારણમાં નથી અને મને સિયાસતથી દૂર થયાને ઘણો સમય વીતી ચૂક્યો છે. વિજય અને મારામાં ઉંમરનો લગભગ 28 વર્ષનો તફાવત છે. તમિલનાડુની ધરતી પર વિજયે રાજ્યની બે સૌથી મોટી અને સ્થાપિત પાર્ટીઓ સામે એકલા હાથે ચૂંટણી જીતીને પોતાની ઓળખ બનાવી છે, જે ખરેખર કાબિલ-એ-તારીફ છે’.

વિજયની લીક થયેલી ફિલ્મ અંગે પણ ચિંતા વ્યક્ત કરી

તાજેતરમાં જ્યારે વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયક' ઓનલાઈન લીક થઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ અંગે રજનીકાંતે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી અને ચિંતા વ્યક્ત હતી. કહ્યું કે, કોઈના દ્વારા 'જન નાયક' ફિલ્મને ઓનલાઈન રિલીઝ કરવી નિંદનીય બાબત છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી સંસ્થાઓએ આની સામે અવાજ ઉઠાવવો જોઈએ અને સરકારે આના માટે જવાબદાર લોકોને શોધીને કડક સજા આપવી જોઈએ. રજનીકાંતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમામ અફવાઓ અને દાવાઓ અંગે આજે સ્પષ્ટ ભાષામાં વાત કરી હતી.