Mon Jul 27 2026

Logo

NEET પેપર લીક કેસમાં રાહુલ ગાંધીના શિક્ષણ મંત્રી પર પ્રહાર, જાણો શું કહ્યું

2026-05-17 15:15:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: નીટ (NEET) પેપર લીક 2026 ને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, વારંવાર નિષ્ફળ જઈ રહેલા શિક્ષણ મંત્રીને તમે બરતરફ કેમ નથી કરતા?

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ કહ્યું કે, "NEET 2024 માં પેપર લીક થયું. પરીક્ષા રદ ન થઈ. મંત્રીએ રાજીનામું ન આપ્યું. CBI એ તપાસ શરૂ કરી. એક કમિટી બની. NEET 2026 માં પેપર લીક થયું. પરીક્ષા રદ થઈ. મંત્રીએ ફરી રાજીનામું ન આપ્યું. CBI ફરી તપાસ કરી રહી છે. એક બીજી કમિટી બનશે. પીએમ મોદી, દેશ તમારી પાસે કેટલાક સવાલો પૂછી રહ્યો છે - જવાબ આપો!"

રાહુલ ગાંધીએ કહ્યું, "વારંવાર પેપર લીક કેમ થઈ રહ્યા છે? વારંવાર થતી આ 'પરીક્ષા પે ચર્ચા' પર તમે ચૂપ કેમ છો? વારંવાર નિષ્ફળ જઈ રહેલા શિક્ષણ મંત્રીને તમે કેમ નથી હટાવી રહ્યા?"

નીટ પેપર લીક કેસ શું છે?

નીટ યુજી (NEET UG) 2026 ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી, પરંતુ તેનું પેપર લીક થઈ ગયું હતું, જેના કારણે NTA એ તેને રદ કરવાનો નિર્ણય લીધો. આનો સીધો અર્થ એ થયો કે આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ હવે ફરીથી પરીક્ષા આપવી પડશે.

પરીક્ષાની નવી તારીખો અને એડમિટ કાર્ડ જાહેર કરવાની માહિતી ટૂંક સમયમાં સત્તાવાર માધ્યમો દ્વારા આપવામાં આવશે. અહીં એ વાત યાદ રાખવી જરૂરી છે કે મે 2026 ની પરીક્ષા માટે કરેલું રજીસ્ટ્રેશન, ડેટા અને પસંદ કરેલા પરીક્ષા કેન્દ્રો ફરીથી યોજાનારી પરીક્ષા માટે પણ માન્ય રહેશે.

આ ઘટના સામે આવ્યા બાદ વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સવાલ ઉઠાવ્યો હતો કે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ નીટ (NEET) નું પેપર કેવી રીતે લીક થઈ જાય છે?

જોકે, સરકાર પણ આ ઘટનાને લઈને ગંભીર જોવા મળી રહી છે અને પેપર લીક કેસની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપી દેવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 2 માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે, જેઓ પોતે શિક્ષક છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.