આણંદઃ પાંચ રાજ્યોની વિધાનસભા સાથે ગુજરાતના આણંદની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. ઉમરેઠમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર જીત તરફ આગળ વધી રહ્યા છે. 17 રાઉન્ડના અંતે તેઓ કોંગ્રેસના ભૃગુસિંહ ચૌહાણથી 23825 મતથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ત્રીજા ક્રમે નોટા છે. નોટાને 1691 મત મળ્યા છે.
ઉમરેઠમાં કેમ યોજાઈ પેટા ચૂંટણી
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી આ સીટ ખાલી પડી હતી. જેના કારણે ત્યાં પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપે ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસ ભૃગુસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યા હતા.

ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામો
ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2022માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસ-NCP ગઠબંધનના ઉમેદવાર જયંત પટેલ (બોસ્કી) ને 26,717 મતોથી હાર આપી હતી. વર્ષ 2017માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસના કપિલા ચાવડાને 1,883 મતથી પરાજય આપ્યો હતો. જ્યારે NCP તરફથી લડેલા જયંત પટેલ (બોસ્કી) ને 35,501 મત મળ્યા હતા.
વર્ષ 2012માં કોંગ્રેસ સાથેના ગઠબંધનથી NCPના જયંત પટેલ (બોસ્કી) એ ભાજપના ગોવિંદ પરમારને 1,394 મતોથી હરાવ્યા હતા.