સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નકલી રાજીનામા પત્ર અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી, જાણો શું છે પૂરી સત્યતા
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક નકલી પત્ર ફરતો થયો છે. જેમાં વડા પ્રધાને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતાં આ દાવો ખોટો હોવાનું જણાવ્યું હતું.
આ વાયરલ થયેલા પત્રમાં અશોક ચક્રનું ચિહ્ન અને પીએમ મોદીના હસ્તાક્ષર જેવા પ્રતીકો હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન વ્યક્તિગત અને રાજકીય જવાબદારીઓના લીધે રાજીનામું આપી રહ્યા છે. પ્રેમ ઇન્ફર્મેશન બ્યુરો(પીઆઇબી)ના ફેક્ટ-ચેક યુનિટે આ દાવાને ફગાવી દેતા જણાવ્યું કે વડા પ્રધાન તરફથી આવો કોઇ રાજીનામું પત્ર જાહેર કરવામાં આવ્યો નથી.
પીઆઇબીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તાક્ષરવાળો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વડા પ્રધાને આવો કોઇ પત્ર જારી કર્યો નથી અને ન તો તેના પર તેમના હસ્તાક્ષર છે.
પીઆઇબીએ ઇન્ટરનેટ વપરાશકર્તાઓને આવા દાવાઓ ઓનલાઇન શેર કરતાં પહેલા સત્તાવાર સ્ત્રોતોમાંથી માહિતીની પુષ્ટિ કરવાની સલાહ આપી છે. આ સ્પષ્ટતા પીઆઇબીના ફેક્ટ-ચેક યુનિટ દ્વારા ઓનલાઇન ફરતા નકલી વીડિયોનું ખંડન કર્યાના એક દિવસ પછી આવી છે. જેમાં વડા પ્રધાન મોદીને કથિત રીતે પેપર લીક મુદ્દે જંતર-મંતર ખાતે આંદોલનકારીઓ વિરુદ્ધ ધમકીભરી ટીપ્પણી કરતાં દર્શાવવામાં આવ્યા હતા.