Thu Sep 03 2026

Logo

ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડે સુપ્રીમ કોર્ટના દરવાજો ખખડાવ્યો પહલગામ હુમલા સાથે જોડાયેલો છે કેસ

2025-12-07 13:58:00
Author: Himanshu Chawda
ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડે સુપ્રીમ કોર્ટના દરવાજો ખખડાવ્યો પહલગામ હુમલા સાથે જોડાયેલો છે કેસ

નવી દિલ્હી: 'બિહાર મેં કા બા' ગીતથી જાણીતી બનેલી ગાયિકા નેહા સિંહ રાઠોડે પહલગામ આતંકી હુમલા બાદ એક ટિપ્પણી કરી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાને લઈને ઉત્તર પ્રદેશમાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.  જોકે, આ કેસને લઈને નેહા સિંહ રાઠોડે અલાહાબાદ હાઈ કોર્ટમાં આગોતરા જામીનની અરજી હતી. જેને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવાતા નેહા સિંહ રાઠોડની મુશ્કેલીમાં વધારો થયો છે.

નેહા સિંહ રાઠોડ સુપ્રીમ કોર્ટમાં જશે

અલાહાબાદ હાઈ કોર્ટે અરજી ફગાવ્યા બાદ નેહા સિંહ રાઠોડે મીડિયાને જણાવ્યું કે, "કોર્ટનો નિર્ણય મારી માટે સર્વોપરી છે. હું તેનો આદર કરૂં છું. હું મારા અધિકારો માટે સુપ્રીમ કોર્ટમાં જઈશ."  

નેહા સિંહે આગળ જણાવ્યું કે,"હું પોલીસને પૂરતો સહકાર આપવા માટે તૈયાર છું. જોકે, પોલીસે મને હજુ સુધી કોઈ નોટિસ આપી નથી. તેઓ દરેક જગ્યાએ દરોડા પાડવાની વાત કરી રહ્યા છે. પરંતુ તે મને ફોન કરી શકે છે, હું તેમને મારું લોકેશન જણાવીશ. જરૂર પડશે તો તેમની પાસે પણ જઈશ." 

મારી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો

પહલગામ હુમલા અંગે કરેલી ટિપ્પણીમાં બાદ કવિ અભય પ્રતાપ સિંહ ઉર્ફ અભય સિંહે હજરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નેહા સિંહ રાઠોડે એક્સ પર કરેલી પોસ્ટમાં જાતિ-આધારિત નફરત અને રાષ્ટ્ર-વિરોધી વિચાર ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ ફોજદારી અને માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ 69A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સાથોસાથ રાજદ્રોહ સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવી હતી. 

પોતાના પર થયેલી ફરિયાદને લઈને નેહા સિંહે જણાવ્યું હતું કે, "મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મારો હેતુ હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને વડા પ્રધાનને પ્રશ્ન પૂંછવાનો હતો. મારી ટિપ્પણી કોઈ ગીતનો ભાગ નહીં, પરંતુ પર્યટકોની સુરક્ષાની ચિંતા અંગે સીધુ આહ્વાન હતું."

ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ નેહા સિંહ રાઠોડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને એફઆઈઆરને રદ્દ કરવાની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એફઆઈઆરમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તપાસ હાલ ચાલુ રહેશે.