Mon Aug 31 2026

Logo

મુંબઈના ઐતિહાસિક સ્ટેશનો ઉજવશે 'સ્ટેશન મહોત્સવ': જાણો ક્યારે અને કયા સ્ટેશનનો છે જન્મદિવસ?

2026-08-09 20:28:08
Author: Mumbai Samachar Team
મુંબઈના ઐતિહાસિક સ્ટેશનો ઉજવશે 'સ્ટેશન મહોત્સવ': જાણો ક્યારે અને કયા સ્ટેશનનો છે જન્મદિવસ?

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રેલવે ઈતિહાસની વિશેષ ઉજવણી થવા જઈ રહી છે, જેમાં રેલવે બોર્ડ દ્વારા શહેરના પાંચ ઐતિહાસિક સ્ટેશનોની એક અનોખા 'સ્ટેશન મહોત્સવ જન્મદિનની ઉજવણી' માટે પસંદગી કરવામાં આવી છે. આ ઉજવણી તે તારીખોને યાદ કરશે, જ્યારે આ સ્ટેશનો અસ્તિત્વમાં આવ્યા હતા, અને તેના દ્વારા રેલવેના એવા મહત્વપૂર્ણ સ્થળો પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે 150 વર્ષથી વધુ સમયથી આ ક્ષેત્રના વિકાસનો હિસ્સો રહ્યા છે.

મધ્ય રેલવેમાં 1854માં બનાવવામાં આવેલા કલ્યાણ સ્ટેશન 9 ઓક્ટોબરે તેનો સ્થાપના દિવસ ઉજવશે. 1863માં બનાવેલા કર્જત અને ખંડાલા સ્ટેશન અનુક્રમે 14 ઓક્ટોબર અને 23 ઓક્ટોબરે તેમની વર્ષગાંઠની ઉજવણી કરશે. 1856માં સ્થપાયેલ ખપોલી સ્ટેશન 18 નવેમ્બરે ઉજવણી કરશે. વેસ્ટર્ન રેલવે પર 28 નવેમ્બર 1864ના અસ્તિત્વમાં આવેલા બાંદ્રા સ્ટેશનની ઉજવણી નવેમ્બર મહિનામાં યોજાનાર છે.

આ પાંચ સ્ટેશનો મુંબઈની રેલવે ગાથાના વિવિધ અધ્યાયોનું પ્રતિનિધિત્વ કરે છે. કલ્યાણ મુંબઈને 'દખ્ખણ' (દક્ષિણ) સાથે જોડતા એક મહત્વપૂર્ણ જંક્શન તરીકે ઉભરી આવ્યું, જ્યારે કર્જત અને ખંડાલા પશ્ચિમ ઘાટ તરફના ઐતિહાસિક ચઢાણ પરના નિર્ણાયક સ્થળો બન્યા હતા. ખોપોલી પણ મુંબઈની બહાર રેલવેના પ્રારંભિક વિસ્તરણનો વારસો ધરાવે છે. બીજી તરફ, બાંદ્રા મુંબઈના ઉપનગરી રેલવે નેટવર્કના વિકાસ અને પશ્ચિમી ઉપનગરોના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.

રેલવે બોર્ડે ચાર મહિનાના ઉજવણી કાર્યક્રમ માટે સમગ્ર ભારતમાં 103 હેરિટેજ સ્ટેશનોની પસંદગી કરી છે. દરેક ઝોનલ રેલવેને તારીખો સૂચવવા અને સ્ટેશનના ઇતિહાસ તથા વારસાને લગતા કાર્યક્રમોનું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે.સમગ્ર દેશમાં, આ યાદીમાં હાવડા, સીલદાહ, લખનઊ, જયપુર, જોધપુર, દાર્જિલિંગ, મૈસુર અને તિરુવનંતપુરમ જેવા જાણીતા સ્ટેશનોનો સમાવેશ થાય છે. મુંબઈ માટે આ ઉજવણીઓ એક વર્ષગાંઠ કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. તે શહેરના રેલવે વારસાને ફરીથી જાણવાની અને તેના ઉપનગરો, વ્યાપારી માર્ગો તથા વિશાળ ક્ષેત્ર સાથેના સંપર્કોને ઘડવામાં આ સ્ટેશનોએ ભજવેલી ભૂમિકાને સમજવાની તકો પૂરી પાડે છે.