મુંબઈ: જમીન પચાવી પાડવાના એક કેસમાં પક્ષના પદાધિકારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા પછી આરપીઆઈ (એ)ના કાર્યકરોએ અંધેરી વિસ્તારમાં મોરચો કાઢ્યો હતો. પોલીસ પરવાનગી વિના આ મોરચો કાઢવામાં આવ્યો હોવાથી 50થી વધુ કાર્યકર વિરુદ્ધ બુધવારે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
એમઆઈડીસી પોલીસે પક્ષના પદાધિકારી અને એક એનજીઓ ચલાવતા સંજય ખંડાગળે સામે એફઆઈઆર નોંધ્યો હતો. આ કાર્યવાહીના વિરોધમાં આરપીઆઈ (એ)ના કાર્યકરો મંગળવારે ડીસીપી ઑફિસ ખાતે મોરચો લઈ ગયા હતા.
બૅનર્સ સાથે વિરોધ પ્રદર્શન કરનારાઓએ આ કેસમાં સાચી તપાસની માગણી કરી હતી. દેખાવકારો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા પ્રતિબંધાત્મક આદેશનું દેખાવકારોએ ઉલ્લંઘન કર્યું હતું. રાજ્ય સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આ આંદોલનકર્તાઓએ કલમ 168નું ઉલ્લંઘન કરીને મોરચો કાઢ્યો હતો, જેને પગલે ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ હતી. (પીટીઆઈ)