નવી દિલ્હી: ત્વિશા શર્માના મૃત્યુની તપાસમાં પોલીસ તરફથી એક ચોંકાવનારી બેદરકારી સામે આવી છે, જ્યારે આ મામલામાં ન્યાયની માંગ દિલ્હીથી લઈને ભોપાલ અને આખા દેશમાં થઈ રહી છે. AIIMS ભોપાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, નોઈડાની આ મહિલાએ ભોપાલમાં પોતાના સાસરીયાના ઘરે કથિત રીતે ગળેફાંસો ખાવા માટે જે બેલ્ટનો ઉપયોગ કર્યો હતો, તે બેલ્ટ તપાસ અધિકારી દ્વારા પોસ્ટમોર્ટમ (autopsy) માટે લાવવામાં આવ્યો ન હતો.
પુરાવાના આ મહત્વના ટુકડા (બેલ્ટ)ની ગેરહાજરીના કારણે જ ડૉક્ટરો ગળેફાંસો ખાવા માટે વપરાયેલી કથિત વસ્તુ (બેલ્ટ)ને મહિલાના ગળા પર મળેલા નિશાન સાથે મેચ (સરખામણી) કરી શક્યા નહીં. આ બાબતે પોલીસ તપાસ તેમજ પુરાવાઓની જાળવણી અને તેની સાથે થયેલી સંભવિત છેડછાડ પરના સવાલોને વધુ મજબૂત બનાવ્યા છે.
33 વર્ષીય મોડલ અને અભિનેત્રી ત્વિશા શર્મા, જે 2024મં એક ડેટિંગ એપ દ્વારા સમર્થ સિંહને મળી હતી અને ડિસેમ્બર 2205માં તેની સાથે લગ્ન કર્યા હતા, તે 12મેના રોજ ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં આવેલા તેના સાસરીયાના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેના પરિવારે તેના પતિ અને સાસરીયાઓ પર લાંબા સમયથી શારીરિક-માનસિક ત્રાસ આપવાનો, દહેજ માટે હેરાન કરવાનો અને તપાસને નબળી પાડવા માટે પોતાના વગ (પ્રભાવ)નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના વડા અને મિસરૌદના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) રજનીશ કશ્યપે જણાવ્યું હતું કે, તે બેલ્ટને ઘટનાસ્થળેથી કબજે લેવામાં આવ્યો હતો અને તેમણે તપાસ અધિકારી તરફથી થયેલી બેદરકારીનો સ્વીકાર કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બાદમાં આ વસ્તુ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ તેને એઈમ્સ (AIIMS) ભોપાલ ખાતે જમા કરાવવામાં આવી હતી.
ત્વિશા શર્માના મૃત્યુની તપાસ સાથે જોડાયેલો બીજો એક સવાલ એ પણ ઊભો થયો છે કે, ઘટનાસ્થળે પોલીસને બોલાવ્યા વગર જ શા માટે તેના મૃતદેહને સીધો હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ બાબતે (ACP) કશ્યપે જણાવ્યું કે, "અમારી ચાલી રહેલી તપાસમાં આ એક મુખ્ય મુદ્દો છે. તેમના નિવાસસ્થાને સીસીટીવી (CCTV) કેમેરા લગાવેલા છે અને અમે હાલમાં તેના ફૂટેજ મેળવી રહ્યા છીએ. આ ઉપરાંત, તેને કયા સંજોગોમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ."
ત્વિશા શર્માના પરિવારે સમર્થ સિંહની માતા ગિરીબાલા સિંહ (જેઓ નિવૃત્ત જજ છે અને આ કેસમાં સહ-આરોપી છે) દ્વારા ખોટી રીતે વગ અને પ્રભાવ વાપરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ગિરીબાલા સિંહે એવો દાવો કર્યો હતો કે તેમની પુત્રવધૂ માનસિક દર્દી હતી અને તેને ડ્રગ્સની લત હતી, અને જ્યારે તેને તેનો ડોઝ ન મળતો ત્યારે તેનામાં વિથડ્રોઅલ સિમ્પટમ્સ દેખાવા લાગતા હતા. જોકે, પોલીસે આ દાવાને સાબિત કરે તેવો કોઈ પણ પુરાવો મળ્યો હોવાનો ઇનકાર કર્યો છે.