નવી દિલ્હી: મધ્યપૂર્વમાં ભડકેલા યુદ્ધને કારણે વૈશ્વિક વ્યાપારને મોટો ફટકો પડી શકે છે, યુદ્ધની તાત્કાલિક અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે. મિસાઈલ હુમલાના જોખમને કારણે વિશ્વભરની એરલાઈન્સને ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી રહી છે, ભારતીય એરલાઈન્સની પણ સંખ્યાબંધ ફ્લાઇટ રદ થઇ રહી છે.
નોંધનીય છે ભારતની કેટલીક એરલાઈન્સ અગાઉથી નુકશાન સહન કરી રહી છે. પાકિસ્તાનનું એરસ્પેસ 11 મહિનાથી બંધ છે, એવામાં હવે ગલ્ફ એરસ્પેસ બંધ થવાને કારણે ભારતીય એરલાઈન્સન વધુ મોટી મુશ્કેલીમાં મુકાઈ છે.
બે દિવસમાં આટલી ફ્લાઈટ્સ રદ;
અહેવાલ મુજબ એર ઇન્ડિયા, ઇન્ડિગો, અકાસા અને સ્પાઇસજેટે જેવી ભારતીય એરલાઈન્સે મધ્ય પૂર્વ અને ગલ્ફ એરસ્પેસમાંથી પસાર થતી લાંબા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે, 1 માર્ચ સુધી ભારતીય એરલાઇન્સની લગભગ 800 થી વધુ ફ્લાઇટ્સ રદ થઇ છે.

આ બે એરલાઈન્સને સૌથી વધુ ફટકો પડશે:
અહેવાલ મુજબ એર ઇન્ડિયા અને ઇન્ડિગોને વધુ અસર થઇ છે, કેમ કે આ બંને એર લાઈન્સની આવકનો મુખ્ય સ્ત્રોત ઇન્ટરનેશનલ ઓપરેશન છે. નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ ક્વાર્ટરમાં એરલાઇન્સની કમાણીમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે. ત્રીજા ક્વાર્ટરમાં પણ આ બંને એરલાઇન્સની કમાણીને નુકસાન પહોંચ્યું હતું.
એવિએશન સેક્ટરમાં ગલ્ફ દેશો મહત્વનો ફાળો:
DGCAએ આપેલા આંકડા મુજબ 28 ફેબ્રુઆરીના રોજ 410 અને 1 માર્ચના રોજ 440 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ઇન્ડિગોએ મધ્ય પૂર્વ તરફ જતી અને ત્યાંથી આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. ભારતના એવિએશન સેક્ટરમાં ગલ્ફ દેશો મહત્વનો ફાળો આપે છે, કુલ આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિકમાં ગલ્ફ દેશોનો ફાળો લગભગ 50% છે.
આ ઉપરાંત યુરોપ અને યુએસ તરફ જતી-આવતી ફ્લાઇટના સમયમાં વધારો થશે, ઇંધણ પણ વધુ વપરાશે, રિફ્યુઅલિંગ માટેના સ્ટોપ પણ વધશે અને વધારાના ક્રૂની જરૂરિયાત પડશે, જેનાથી એરલાઈન્સને પડકારનો સામનો કરવો પડશે.