Wed Aug 19 2026

Logo

લાલુ પ્રસાદ યાદવે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી કરી

2026-04-11 20:21:36
Author: Chandrakant Kanoja
Article Image

 નવી દિલ્હી : આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે લેન્ડ ફોર જોબ ભ્રષ્ટાચાર કેસમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અંગે સુપ્રીમ કોર્ટની બેન્ચ 13 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરશે.

લાલુ પ્રસાદ યાદવની અરજીને ફગાવી દીધી હતી

આ પૂર્વે દિલ્હી હાઈકોર્ટે  ભ્રષ્ટાચાર કેસમાં દાખલ કરાયેલી એફઆઇઆર અને ચાર્જશીટ રદ કરવાની લાલુ પ્રસાદ યાદવની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કેસમાં દાખલ કરાયેલી ત્રણ ચાર્જશીટ અને નીચલી અદાલત દ્વારા લેવામાં આવેલી નોંધને પણ માન્ય રાખી હતી.

ગ્રુપ ડી નિમણૂકોમાં ભ્રષ્ટાચાર થયો હતો

ઉલ્લેખનીય છે કે, લેન્ડ ફોર જોબ કેસ લાલુ પ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન બન્યો હોવાનું કહેવાય છે. તેમણે વર્ષ 2004 થી 2009 સુધી સેવા આપી હતી. તેમની પર  આરોપ છે કે આ સમયગાળા દરમિયાન, મધ્યપ્રદેશના જબલપુરમાં ભારતીય રેલ્વેના પશ્ચિમ મધ્ય ઝોનમાં કથિત રીતે ભેટમાં આપવામાં આવેલી અથવા ટ્રાન્સફર કરાયેલી જમીનના બદલામાં ગ્રુપ ડી નિમણૂકોમાં ભ્રષ્ટાચાર થયો હતો.

ચાર્જશીટ કાયદેસર રીતે ટકાઉ ન હોવાની  દલીલ 

જોકે, લાલુ યાદવે દલીલ કરી હતી કે એફઆઇઆર, તપાસ પ્રક્રિયા અને ત્યારબાદની ચાર્જશીટ કાયદેસર રીતે ટકાઉ ન હતી કારણ કે સીબીઆઇએ ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ 17A હેઠળ પૂર્વ મંજૂરી મેળવી ન હતી.આ કેસમાં  લાલુ યાદવ અને તેમના સહયોગીઓ પર રેલવે મંત્રી હતા ત્યારે તેમના પદનો દુરુપયોગ કરવાનો અને રેલવેમાં ગ્રુપ ડી પદો પર નિમણૂકો કરવાનો આરોપ છે. આ નિમણૂકોના બદલામાં તેમણે લોકો પાસેથી રાહત દરે ભેટ તરીકે જમીન મેળવી હતી. હવે જ્યારે લાલુએ આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. ત્યારે એ જોવાનું બાકી છે કે સુપ્રીમ કોર્ટ તેમને રાહત આપશે કે આરોપોને માન્ય રાખશે.