ઉરી: જમ્મુ કાશ્મીર આંતકી પ્રવુતિ વધવાના અહેવાલો વચ્ચે ઉરીમાં સેનાને મોટી સફળતા મળી છે. જેમાં સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ચિનાર કોર્પ્સે જણાવ્યું છે કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.
સોપોરના બે રહેવાસીઓ સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ
આ અંગે સેનાએ જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને હાથ ધરવામાં આવેલા આ કાર્યવાહી દરમિયાન, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને સોપોરના બે રહેવાસીઓ સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
નિયંત્રણ રેખા પર કડક સુરક્ષા પગલાં
સેનાએ વધુમાં જણાવ્યું હતું કે સૈનિકોએ ઘૂસણખોરને બહાર આવવા જણાવ્યું હતું અને તેને કોઈ ઈજા પહોંચાડ્યા વિના પકડી લીધા હતા. ઘૂસણખોરને આગળની કાનૂની કાર્યવાહી માટે જમ્મુ અને કાશ્મીર પોલીસને સોંપવામાં આવ્યો છે. નિયંત્રણ રેખા પર કડક સુરક્ષા પગલાં વચ્ચે આ ઘટનાઓ બની છે. તેમજ સુરક્ષા એજન્સીઓ બંને કિસ્સાઓમાં તેમની તપાસ ચાલુ રાખી રહી છે.
ભારતે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ જાળવી રાખી
ઉલ્લેખનીય છે કે, ભારતે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ જાળવી રાખી છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી હેન્ડલર્સ વારંવાર ભારતમાં ઘૂસણખોરી અને નુકસાન પહોંચાડવાના કાવતરા ઘડે છે. જો કે, ભારતીય સેનાના જવાનો આ તમામ કાવતરાઓને સતત નિષ્ફળ બનાવે છે. ભૂતકાળમાં પણ સેના અને પોલીસે અસંખ્ય ઘૂસણખોરીના પ્રયાસોને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે.