Fri Apr 17 2026

Logo

પાકિસ્તાને મધ્યસ્થી કરવા જતા મુશ્કેલીઓ નોતરી, હોર્મુઝમાંથી બે જહાજને પરત કાઢ્યા

Islamabaad   2026-04-12 18:47:23
Author: Mumbai Samachar Team
Article Image

ઈસ્લામાબાદઃ ઈરાન-અમેરિકા વચ્ચે હવે સીઝફાયર જાહેર થતા હુમલાઓ બંધ થયા છે. મિડલ ઈસ્ટમાં સતત અને સખત રીતે વણસી રહેલી સ્થિતિને લઈને પાકિસ્તાને મધ્યસ્થી તમામ તૈયારીઓ કરી લીધી હતી. પરિસ્થિત એ બની કે, ઈસ્લામાબાદમાં શાંતિ વાર્તા નિષ્ફળ થઈ ગઈ અને મધ્યસ્થી કરવા થનગનતો દેશ પાકિસ્તાન ફરી મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. 

શાંતિવાર્તા નિષ્ફળ પુરવાર થઈ
પાકિસ્તાનના મહાનગર ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિવાર્તા વગર કોઈ પરિણામે ખતમ થઈ ગઈ હતી. આ કારણે હવે મિડલ ઈસ્ટમાં તણાવ વધારે વધી ગયો છે. આ માહોલ વચ્ચે પાકિસ્તાનને બે ટેન્કર શાલમાર અને ખૈરપુર જે હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશ લેવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, તેને હવે પરત જવાનો વારો આવ્યો છે. આ પાછળનું કારણ કોઈ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પાકિસ્તાનના આ બન્ને ટેન્કર ખાડીના સમુદ્ર રસ્તેથી આગળ વધી રહ્યા હતા.  એ સમયે અચાનક પરત ફરવાનો વારો આવ્યો છે. 

પાકિસ્તાનની ચિંતા વધી
ટેન્કર પાછા ફરતા હવે પાકિસ્તાનની ચિંતા વધી છે. આના કારણે પાકિસ્તાનના સમુદ્રી વ્યાપાર અને ઊર્જાને માઠી અસર ઊભી થઈ શકે છે. ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કલાકો સુધી વાતચીત થઈ હતી પણ કોઈ પરિણામ ન આવતા મધ્યસ્થી નિષ્ફળ પુરવાર થઈ છે. કોઈ પ્રકારની સમજૂતી સુધી પહોંચે એ પહેલા જ શાંતિવાર્તા ખતમ થઈ ગઈ હતી. આ શાંતિવાર્તા પૂર્ણ થયા બાદ ઈરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાનથી કોઈ પ્રકારના નિવેદન વગર રવાના થઈ ગયું હતું. આ પહેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ પણ ઈસ્લામાબાદથી પરત થઈ ગયા હતા. 

માગણીનો કોઈ સ્વીકાર નહીં
ઈરાનના પ્રતિનિધિ મંડળમાં કુલ 71 લોકોનો સમાવેશ થતો હતો. સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી જેવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પ્રતિનિધિમંડળનો ભાગ હતા. વાટાઘાટોના સમાપન પછી, સમગ્ર પ્રતિનિધિમંડળ પાકિસ્તાનથી પરત ફર્યું. ઘાનામાં ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમેરિકા-ઈરાન વાટાઘાટો અંગે આકરી પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું કે અમેરિકા તેના ઉપરાષ્ટ્રપતિને ઈસ્લામાબાદ લાવ્યું, અને 21 કલાકની વાટાઘાટો ચાલી. ઈરાને એવી માગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો જે યુદ્ધ દ્વારા પણ પ્રાપ્ત થઈ શકી ન હતી.

પાકિસ્તાન માટે હોર્મુઝ ન ખુલ્યું
નિવેદનમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે વાટાઘાટો સમાપ્ત થઈ ગઈ છે, સ્ટ્રેટ બંધ રહે છે, અને અમેરિકા ખાલી હાથે પરત ફરી રહ્યું છે. ઈરાની દૂતાવાસે જણાવ્યું હતું કે, અમેરિકા સમય દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અસરકારક રીતે ટેબલ પર "સ્ટોપવોચ" લાવી રહ્યું છે, જ્યારે ઈરાન લાંબા ગાળાના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી વાટાઘાટોમાં જોડાઈ રહ્યું છે. ઈરાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનો ઉદ્દેશ્ય ઉતાવળનો નહીં, પરંતુ ધીરજ દ્વારા ઉકેલ શોધવાનો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ જણાવ્યું હતું કે, ઈરાન અમેરિકાના ભૂતકાળના વચનોને ભૂલ્યું નથી. 

ભવિષ્યની વાટાઘાટમાં હવે સાવધાની
ખાતરી આપી હતી કે દેશ તે અનુભવોને ધ્યાનમાં રાખશે અને ભવિષ્યની વાટાઘાટોમાં સાવધાની રાખશે. તેમણે એ પણ નોંધ્યું હતું કે કોઈએ એક જ બેઠકમાંથી ચોક્કસ પરિણામની અપેક્ષા રાખવી જોઈએ નહીં. ઈરાની પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમના માટે, રાજદ્વારી રાષ્ટ્રીય સંરક્ષણનો અભિન્ન ભાગ છે. ભૂતકાળના યુદ્ધો અને ગુનાઓ અંગે અમેરિકા અને તેના સાથીઓ પર આરોપોનો પુનરોચ્ચાર કર્યો. ઈરાની પ્રતિનિધિમંડળ દેશના હિતોનું રક્ષણ કરવા માટે તેની શ્રેષ્ઠ ક્ષમતા સાથે કામ કરી રહ્યું છે.