Wed Jun 17 2026

Logo

અમેરિકા-ઈઝરાયલનો ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો, રેડિયેશનનો કોઈ ખતરો નથી

WASINTON DC   2026-03-21 15:41:14
Author: Mumbai Samachar Team
Article Image

ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લાગે છે. ઈરાનના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ગણાતા નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર ફરી એકવાર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પાછળ અમેરિકા અને ઈઝરાયલની સંયુક્ત રણનીતિ હોવાનું મનાઈ રહ્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જાગી છે કે શું આ હુમલો કોઈ મોટા યુદ્ધની શરૂઆત છે?

ઈરાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈઝરાયલે મળીને નતાન્ઝ સેન્ટર પર જોરદાર બોમ્બમારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે આટલા મોટા હુમલા છતાં કોઈપણ પ્રકારના કિરણોત્સર્ગી પદાર્થ (રેડિયેશન)ના લીકેજની ખબર નથી. એટલે કે પરમાણુ કચરો ફેલાવા જેવી કોઈ જાનહાનિ કે પર્યાવરણીય જોખમ હજુ સુધી સર્જાયું નથી.

ધમાકાના અવાજથી આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ સદનસીબે ત્યાં રહેતા લોકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. હુમલાના કારણે નતાન્ઝ સેન્ટરની ઇમારતો અને મિલકતોને ખાસ્સું નુકસાન થયું છે. ઈરાન સરકારે આ ઘટનાને અમેરિકા અને ઈઝરાયલની જૂની ચાલ ગણાવી છે, જેના દ્વારા તેઓ ઈરાન પર લશ્કરી દબાણ બનાવીને તેને નબળું પાડવા માંગે છે.

નોંધનીય છે કે વર્ષ 2025થી અત્યાર સુધીમાં આ પરમાણુ કેન્દ્ર પર અનેક વખત હુમલાઓ થઈ ચૂક્યા છે. દરેક વખતે ટેક્નિકલ ખામી કે સાયબર એટેકના નામે આ કેન્દ્રને નિશાન બનાવવામાં આવે છે. રેકોર્ડ મુજબ, અત્યાર સુધીના હુમલાઓમાં આર્થિક નુકસાન તો ઘણું થયું છે, પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં હુમલાખોરો સફળ રહ્યા નથી. ઈરાને આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી પણ દર્શાવી છે.