Fri Aug 14 2026

Logo

ઇન્ડોનેશિયામાં ગોઝારી ઘટના: 271 મુસાફરો ભરેલી ફેરીમાં ભીષણ આગ, પાંચના મોત અને 41 ગુમ

Bali   2026-08-02 16:46:49
Author: Devayat Khatana
Article Image

બાલીઃ ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ નજીક એક પેસેન્જર ફેરીમાં ભીષણ આગ લાગવાની ગોઝારી ઘટના બની હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં અંદાજે 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 41 જેટલા લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. 
અહેવાલો અનુસાર, આ ફેરીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 271 લોકો સવાર હતા. જો કે આગનું રૌદ્ર સ્વરૂપ જોઈને જીવ બચાવવા માટે અનેક લોકોએ દરિયામાં છલાંગ લગાવી દીધી હોવાના દ્રશ્યો પણ મીડિયામાં વાયરલ થયા હતા. રેસ્ક્યુ ટીમ દ્વારા 225 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી વિગતો મુજબ, આ ફેરી પૂર્વ જાવા પ્રાંતના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસર તરફ જઈ રહી હતી. તે દરમિયાન જાવાના ઉત્તર-પૂર્વ તટ પર આવેલા મદુરા ટાપુ પાસે અચાનક ફેરીમાં આગ લાગી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

ગુમ થયેલા લોકોની શોધખોળ માટે આસપાસના દરિયાઈ વિસ્તારમાં અનેક જહાજો તૈનાત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જોકે, ફેરીમાં આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયામાં ફેરીમાં આગ લાગવાની અને દરિયાઈ અકસ્માતોની આ કોઈ પ્રથમ ઘટના નથી. લગભગ એકાદ વર્ષ પહેલાં જુલાઈ 2025માં 'KM Barcelona 5' નામના જહાજમાં આગ લાગવાથી 3  લોકોના મોત થયા હતા અને આશરે 150 લોકોને બચવાઈ લેવામાં આવ્યા હતા. 
આ ઉપરાંત, મે 2021માં મોલુક્કા સાગરમાં 'KM Karya Indah' નામની ફેરીમાં આગ લાગતા તેમાં સવાર 22 બાળકો સહિત 181 મુસાફરો અને 14 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. તે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહતી, પરંતુ તે સમયે પણ મુસાફરોએ જીવ બચાવવા દરિયામાં કૂદકો મારવો પડ્યો હતો.