Tue Aug 25 2026

Logo

ઇન્ડિગો કટોકટી: રાહુલ ગાંધીએ 'મોનોપોલી મોડેલ'નો આરોપ લાગાવ્યો, ઉડ્ડયન પ્રધાને આપ્યો આવો જવાબ!

2025-12-07 16:08:57
Author: Savan Zalariya
ઇન્ડિગો કટોકટી: રાહુલ ગાંધીએ 'મોનોપોલી મોડેલ'નો આરોપ લાગાવ્યો, ઉડ્ડયન પ્રધાને આપ્યો આવો જવાબ!

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ભારતની સાથી મોટી એરલાઈન ઇન્ડિગો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ, દરરોજ સંખ્યાબંધ ફ્લાઈટ્સ કેન્સલ થઇ રહી છે, જેને કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇન્ડિગો એરલાઈનની કટોકટી માટે સરકારના મોનોપોલી મોડેલને જવાબદાર ઠેરવ્યું હતું. હવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાને તેમને જવાબ આપ્યો છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરાપુ રામ મોહન નાયડુએ રાહુલ ગાંધીના ‘મોનોપોલી મોડેલ’ના આરોપનો વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે "સરકારે હંમેશા બજારમાં વધુ સ્પર્ધા કરવા માટે પ્રયાસ કર્યો છે. અમે લીઝિંગ કોસ્ટ ઘટાડવા માટે કાયદો પણ રજૂ કર્યો છે, જેનાથી એરલાઈનના કાફલામાં વધુ વિમાનોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. દેશના એવિએશનમાં માંગ વધી રહી છે. જો તેઓ (રાહુલ ગાંધી) સંપૂર્ણ માહિતી આપે તો વધુ સારું રહેશે."

રાહુલ ગાંધીનો આરોપ:

રાહુલ ગાંધીએ X પોસ્ટ પર પોસ્ટ કરીને લખ્યું હતું, "સરકારના મોનોપોલી મોડેલને કારણે ઇન્ડિગોમાં કટોકટી સર્જાઈ છે. જેની કિંમત ફરી એકવાર સામાન્ય ભારતીયો ચૂકવી રહ્યા છે. ભારતમાં દરેક ક્ષેત્રમાં નિષ્પક્ષ સ્પર્ધા હોવી જોઈએ છે, મેચ ફિક્સિંગ મોનોપોલી નહીં." 

અહેવાલ મુજબ DGCAએ ગત વર્ષે જાન્યુઆરીમાં પાઇલોટ અને ક્રૂ મેમ્બર્સ માટે નવા ધોરણોની જાહેરાત કરી હતી, એરલાઈનને તબક્કાવાર અમલીકરણ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ઇન્ડિગો સુધારેલા રોસ્ટર મુજબ તેના ક્રૂનું મેનેજમેન્ટ કરી શકી ન હતી.