નવી દિલ્હી: દેશની એરલાઇન્સ કંપનીઓની ચિંતામાં વધારો થયો છે. જેમાં જૂન માસમાં સ્થાનિક એર ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો છે. ડીજીસીએના આંકડા મુજબ જૂન 2026માં સ્થાનિક હવાઇ મુસાફરોની સંખ્યા ઘટીને 1.35 કરોડ થઈ છે. તેમજ એર ટ્રાફિકમાં 12 ટકા ઘટાડો નોંધાયો છે.
એરલાઇન્સને ચોક્કસ રૂટ પર ફ્લાઇટ ફ્રીક્વન્સી ઘટાડી હતી
સામાન્ય રીતે એરલાઇન્સ કંપનીઓ માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનો મંદીનો સમય માનવામાં આવે છે. જેમાં ઉનાળાની રજાઓ પૂરી થયા પછી મુસાફરોની સંખ્યામાં ઘટાડો થાય છે. તેમજ પશ્ચિમ એશિયામાં તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના વધતા ભાવે કેટલીક એરલાઇન્સને ચોક્કસ રૂટ પર ફ્લાઇટ ફ્રીક્વન્સી ઘટાડી હતી.
ઓન-ટાઇમ પર્ફોર્મન્સના સંદર્ભમાં ઇન્ડિગો આગળ
આ ઉપરાંત ઓન-ટાઇમ પર્ફોર્મન્સના સંદર્ભમાં ઇન્ડિગો આગળ છે. એરલાઇન્સે જૂનમાં 89.4 ટકા ઓન-ટાઇમ પર્ફોર્મન્સ નોંધાવ્યુ હતું. ત્યારબાદ એર ઇન્ડિયા ગ્રુપ (85.9%), અકાસા એર (82.7%), એલાયન્સ એર (74.7%) અને સ્પાઇસજેટે (33.5%)ઓન-ટાઇમ પર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. આ અંગે એરલાઇન્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી છે.
એરલાઇન્સ કંપનીના બજાર હિસ્સામાં ફેરફાર
જૂનમાં ઇન્ડિગોને સૌથી વધુ ફાયદો થયો છે. જેનો બજાર હિસ્સો વધીને 66.3 ટકા થયો હતો. જ્યારે એર ઇન્ડિયા ગ્રુપનો હિસ્સો ઘટીને 23.9 ટકા થયો. અકાસા એરનો પણ બજાર હિસ્સો વધીને 6.4 ટકા થયો છે. જ્યારે સ્પાઇસજેટનો હિસ્સો ઘટીને 1.9 ટકા થયો હતો.