નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ બાદ સર્જાયેલા ઉર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એકવાર નાગરિકોને ગભરાઇને ખરીદી ન કરવા અપીલ કરી છે. આ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ દેશમાં ઇંધણનો પૂરતો પૂરવઠો છે. તેમજ હાલ નિર્ધારિત સમયમાં નાગરિકોને પૂરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
ઊર્જા બચાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી
મીડિયા અહેવાલ મુજબ, સરકારે શનિવારે નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ગભરાઇને ખરીદી કરવાથી દૂર રહેવા અપીલ કરી હતી. એક નિવેદનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસોઈ ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. તેમજ મંત્રાલયે ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અને ઊર્જા બચાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી હતી.
રિફાઇનરીમાં ઉત્પાદન વધારવામાં આવ્યું
નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સરકારે ઘરેલું એલપીજી અનેપીએનજીના પુરવઠાને પ્રાથમિકતા આપી છે. જેમાં ખાસ કરીને ઘરો, હોસ્પિટલો અને અન્ય આવશ્યક સેવાઓ છે. આ ઉપરાંત રિફાઇનરીમાં ઉત્પાદન વધારીને માંગને નિયંત્રિત કરવા માટે પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. આ પગલાંમાં એલપીજી રિફિલ વચ્ચેનો બુકિંગ સમયગાળો લંબાવવાનો પણ સમાવેશ થાય છે.
ઇંધણની સંગ્રહખોરી અને કાળાબજાર સામે સતત કાર્યવાહી
રિપોર્ટમાં જણાવાયું છે કે ઇંધણની સંગ્રહખોરી અને કાળાબજાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધી 3,700 થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે અને LPG વિતરકોને આશરે 1,000 શો-કોઝ નોટિસ આપી છે. તેમજ 27 ડીલરોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મંત્રાલય વતી આંકડા રજૂ કરતા, એ નોંધવામાં આવ્યું હતું કે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે પુરવઠા પર દબાણ હોવા છતાં, વિતરણ કેન્દ્રો પર LPGની કોઈ અછત નોંધાઈ નથી. ગયા શુક્રવારે, આશરે 51 લાખ LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઈન બુકિંગ 95 ટકા જેટલું હતું.