નવી દિલ્હી: શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલાની એનઆઈએ દ્વારા તપાસ કરાવવાની અકાલી દળના સાંસદ હરસિમરત કૌરે માંગ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.
હત્યાના પ્રયાસને ખૂબ જ ચિંતાજનક ગણાવ્યો
આ પત્રમાં હરસિમરત કૌરે લખ્યું છે કે સુખબીર બાદલ પર વર્ષ 2024માં પણ જીવલેણ હુમલો થયો હતો. તેમણે આ બે હત્યાના પ્રયાસોને ખૂબ જ ચિંતાજનક ગણાવ્યા હતા. તેમણે એવી આશંકા વ્યક્ત કરી કે આ હુમલો કોઈ આંતર-રાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. જેની તપાસ જરૂરી છે.
બંને હુમલાઓ વચ્ચે એક સરખી પેટર્ન
તેમણે વધુમાં જણાવ્યું કે તેમની પર બંને હુમલા ત્યારે થયા જ્યારે તે એક શીખ ધાર્મિક સેવામાં રોકાયેલા હતા. તેમજ પંજાબ પોલીસ અને પંજાબ સરકારે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે, કારણ કે બંને હુમલાઓ વચ્ચે એક સરખી પેટર્ન છે.
આ વારંવારના હુમલાઓ પાછળનો હેતુ વૈશ્વિક સ્તરે પંજાબની છબીને નુકસાન પહોંચાડવાનો અને શીખ સમુદાયની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો હોવાનું જણાય છે.
એનઆઈએ દ્વારા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી
તેમજ હરસિમરત કૌરે વધુમાં જણાવ્યું હતું કે, આ હુમલાઓની ગંભીરતા પેટર્ન અને સંજોગોને જોતાં એનઆઈએ દ્વારા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.