Thu Aug 20 2026

Logo

ફ્યુઅલ સંકટ વચ્ચે મોદી સરકારે એક્સાઇઝ ડયુટીમાં કર્યો ₹10 નો ઘટાડો, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?

2026-03-27 09:52:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટ તણાવના કારણે દેશમાં ઉભા થયેલા ઉર્જા સંકટ વચ્ચે સકકારે મોટું પગલું ભર્યું છે. સરકારે આજથી પેટ્રોલ-ડીઝલ પર એક્સાઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એક્સાઇઝ ડયુટીમાં ₹10 નો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ પર ડ્યુટી હવે 13 ને બદલે 3 રૂપિયા અને ડીઝલ ઉપર હવે એક્સાઇઝ ડયુટી શૂન્ય કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટાડો ગ્રાહકો માટે બચતમાં રૂપાંતરિત થાય તેવી શક્યતા ઓછી છે, કારણ કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પ્રતિ લિટર થઈ રહેલા મોટા નુકસાનને સરભર કરવા માટે આ કટનો ઉપયોગ કરશે.

હરદીપ સિંહ પુરીએ ટ્વિટ કરીને શું લખ્યું

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કર્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે ઓઈલ કંપનીઓના ખૂબ જ ઊંચા નુકસાનને (પેટ્રોલ પર અંદાજે ₹24 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹30 પ્રતિ લિટર) ઘટાડી શકાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે તેની ટેક્સની આવકમાં મોટો કાપ સહન કર્યો છે. આ સાથે જ, પેટ્રોલ અને ડીઝલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા તોતિંગ વધારાને ધ્યાનમાં રાખીને એક્સપોર્ટ ટેક્સ પણ લાદવામાં આવ્યો છે, જેથી વિદેશોમાં નિકાસ કરતી કોઈપણ રિફાઈનરીએ એક્સપોર્ટ ટેક્સ ચૂકવવો પડશે. આ સમયસરના સાહસિક અને દૂરંદેશી નિર્ણય બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણનો આભાર માનું છું.

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે?

હવે આ ઘટાડા પછી જો ઓયલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરે છે, તો ઈંધણના ભાવમાં ₹10 સુધીનો ઘટાડો થઈ શકે છે. અત્યાર સુધી માત્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય હવે ઓયલ કંપનીઓના નિર્ણય પર નિર્ભર રહેશે.

વર્તમાન બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ લિટર ₹48.8નું નુકસાન થઈ રહ્યું છે, એટલે કે ભારતમાં વેચાતા પેટ્રોલ અથવા ડીઝલના દરેક લિટર પર તેઓ આટલી રકમ ગુમાવી રહ્યા છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ તથા હોર્મુઝ ખાડીના રૂટ અવરોધાયા બાદ વૈશ્વિક બેન્ચમાર્ક પ્રતિ બેરલ 100 યુએસ ડોલરને પાર કરી ગયો છે.

ગઈકાલે ખાનગી કંપની નાયરા એનર્જી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ₹5.3 અને ₹3 પ્રતિ લિટરનો મોટો વધારો ઝીંકાયાના એક દિવસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. દેશની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલર નાયરા એનર્જી 8.4 ટકા માર્કેટ શેર ધરાવે છે.

આજે સવારે સરકારી ઓયલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી દીધી છે. શુક્રવાર, 27 માર્ચના રોજ દેશના મુખ્ય શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે ચેન્નાઈ અને બિહાર-ઝારખંડના કેટલાક શહેરોમાં મામૂલી ફેરફાર જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો અને સ્થાનિક ટેક્સના આધારે દરરોજ સવારે 6 વાગ્યે આ ભાવ નક્કી કરવામાં આવે છે.
 
SMS દ્વારા તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ આ રીતે જાણો

જો તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી પેટ્રોલ-ડીઝલની કિંમતો જાણવા માંગતા હોવ, તો તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અલગ-અલગ કંપનીઓ માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો:

Indian Oil ગ્રાહકો: તમારા શહેરનો કોડ ટાઈપ કરો અને તેની આગળ “RSP” લખીને 9224992249 પર મોકલો.

BPCL ગ્રાહકો: તમારા ફોન પરથી “RSP” લખો અને 9223112222 પર મેસેજ મોકલો.

HPCL ગ્રાહકો: મોબાઈલ પર “HP Price” લખીને 9222201122 પર મોકલી દો.