નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી યોજાવાનું છે. જેમાં આ વખતે સત્ર દરમિયાન ત્રણ જેટલા બંધારણ સુધારા બિલ રજૂ કરી શકે છે. જેના પગલે કોંગ્રેસે પણ પોતાની રણનીતિ નક્કી કરી છે. આ અંગે પાર્ટીની દિલ્હીમાં મળેલી બેઠક બાદ પક્ષે સંસદમાં રજૂ થનારા ડિલીમીટેશન બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે.
સોનિયા ગાંધીના નિવાસ સ્થાન 10 જનપથ ખાતે બેઠક યોજાઈ હતી
કોંગ્રેસ પક્ષની આ બેઠક સોનિયા ગાંધીના નિવાસ સ્થાન 10 જનપથ ખાતે યોજાઈ હતી. જેમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
ડિલીમીટેશન બિલ રજૂ કરવામાં આવી શકે છે
કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠક બાદ જયરામ રમેશે જણાવ્યું હતું કે, અમને એવા અહેવાલો મળ્યા છે કે ડિલીમીટેશન બિલ રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ તેનો વિરોધ કરશે. અમે અન્ય સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે એક થઈને ઊભા રહીશું.
હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી
તેમજ સોનિયા ગાંધીએ આજે અમારી સંસદીય રણનીતિ અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વખતે કયા બિલ રજૂ કરવામાં આવશે તેની અમારી પાસે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. અમને રવિવારે સર્વપક્ષીય બેઠકમાં આ વિશે ખબર પડે તેવી અપેક્ષા છે. જોકે તે સરકાર તરફથી માત્ર ઔપચારિકતા હશે.