Tue Jul 28 2026

Logo

મુખ્ય પ્રધાન ફડણવીસ ક્ધટ્રોલ મોડમાં, પ્રધાનોએ કલેક્ટરો સાથેની બેઠક માટે પરવાનગી લેવી પડશે

2025-12-12 19:16:51
Author: Vipul Vaidya
Article Image

નાયબ મુખ્ય પ્રધાનો અને મહેસુલ પ્રધાનને આદેશમાંથી રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી)


મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર આવ્યા બાદ પ્રધાનોએ ખાનગી સચિવોની નિમણૂક માટે મુખ્ય પ્રધાન કાર્યાલયની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. ત્યારે એવી ચર્ચા હતી કે મહાયુતિના કેટલાક પ્રધાનો આનાથી નાખુશ હતા. હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ફરી એક્શન મોડમાં આવ્યા છે અને પ્રધાનો માટે એક નવો આદેશ જારી કરવામાં આવી છે. હવે પ્રધાનોએ જિલ્લા કલેક્ટરોને તેમની સાથેની બેઠકોમાં બોલાવવા માટે મુખ્ય પ્રધાન કાર્યાલયની પૂર્વ પરવાનગી લેવી પડશે.

રાજ્યમાં વહીવટી શિસ્ત અને સંકલનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કલેક્ટરો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓની બેઠકો યોજવા અંગે નવા અને કડક નિયમો લાગુ કર્યા છે. આ મુજબ, કોઈપણ પ્રધાન મુખ્ય મથકની બહાર બેઠકો માટે કલેક્ટરોને બોલાવી શકશે નહીં. આવી બેઠકો માટે મુખ્ય પ્રધાનની આગોતરી પરવાનગી લેવી પડશે. આ આદેશ બાદ, સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) એ એક સત્તાવાર સરકારી આદેશ જારી કર્યો છે.

જારી કરાયેલા નિર્દેશો મુજબ, સોમવારે અને ગુરુવારે કલેક્ટરો સાથે બેઠકો યોજવા માટે અનામત રાખવામાં આવ્યા છે. આ બેઠકો એક જ દિવસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. આ નિર્ણય પાછળનો હેતુ વહીવટી કાર્યમાં સાતત્ય સુનિશ્ચિત કરવાનો છે અને અધિકારીઓ બિનજરૂરી મુસાફરીને કારણે મુખ્યાલયથી દૂર ન રહે તે સુનિશ્ર્ચિત કરવાનો છે.

આ નવા નિયમો અનુસાર, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનો અને મહેસૂલ પ્રધાન બંનેને જિલ્લા કલેક્ટરો સાથે બેઠકો કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, અન્ય તમામ પ્રધાનો માટે કલેક્ટરોને બેઠકો માટે બોલાવવા માટે મુખ્ય પ્રધાન કાર્યાલયની પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત રહેશે.

2 અને 3 ઓગસ્ટના રોજ નાગપુરમાં એક મહેસૂલ પરિષદ યોજાઈ હતી. આ સમયે, વિભાગીય કમિશનર, જિલ્લા કલેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારીએ આવી રીતે આયોજિત કરવામાં આવતી બેઠકો અંગે ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે બેઠકોમાં વધુ સમય પસાર થતો હોવાથી તે અન્ય કામને અસર કરી રહ્યો હતો. ત્યારબાદ, ફડણવીસે ફરિયાદ પર ધ્યાન આપ્યું છે અને હવે બેઠકો અંગે નવો આદેશ જારી કર્યો છે.