નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વિનંતી કરવામાં આવી હતી કે સીબીએસઈના એ નિયમને પડકારતી અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરે જેમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
અરજદારમાંના એક તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચને જણાવ્યું હતું કે અરજીઓ પર બુધવાર અથવા ગુરુવારે સુનાવણી કરવામાં આવે કારણ કે શૈક્ષણિક સત્ર અગાઉથી શરૂ થઈ ચૂક્યું છે.
વકીલે દલીલ કરી હતી કે સીબીએસઈની નીતિ લાગુ કરવા માટે પૂરતા શિક્ષકો કે પૂરતા પુસ્તકો નથી. અરજી પર સીજેઆઈએ કહ્યું કે "અમે જોઈશું." અગાઉ, સુપ્રીમ કોર્ટે શિક્ષણ બોર્ડની નીતિને પડકારતી બે નવી અરજીઓ પર કેન્દ્ર, એનસીઈઆરટી અને સીબીએસઈ પાસેથી જવાબ માંગ્યા હતા.
જેમાં અરજીઓને 29 જૂલાઈના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર, સીબીએસઈ અને એનસીઈઆરટીએ પોતાના અલગ-અલગ સોગંદનામામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ના ત્રણ-ભાષાના ફ્રેમવર્કને લાગુ કરવાનો મજબૂત રીતે બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ "બહુભાષાવાદ અને રાષ્ટ્રીય એકતાને" પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે. તેમણે દેશભરની સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં અપનાવવામાં આવેલી ત્રણ ભાષાની નીતિ સામે દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દેવાની માંગ કરી હતી.
અગાઉની સુનાવણીમાં એક વરિષ્ઠ વકીલે આરોપ લગાવ્યો હતો કે સીબીએસઈ ગેરકાયદેસર પરિપત્રો લાગુ કરી રહ્યું છે જે શિક્ષણના અધિકારની કાયદાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, "તેઓ કોઈપણ વિકલ્પ વિના ભાષાઓ લાદી રહ્યા છે."
અગાઉ સુપ્રીમ કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું હતું કે તે આ નિર્ણયને લાગુ કરતા માટે સીબીએસઈની લોજિસ્ટિકલ તૈયારીઓ અંગે રિપોર્ટ રજૂ કરે.