Mon Jul 27 2026

Logo

જમ્મુ-કાશ્મીરમાં ભયાનક બસ અકસ્માત: બસ ખીણમાં ખાબકતા 15 મુસાફરોના કરુણ મોત

2026-04-20 13:07:00
Author: Savan Zalariya
Article Image

ઉધમપુર: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક ગોઝારો બસ અકસ્માત સર્જાયો છે. જીલ્લાના રામનગર કાઘોટ વિસ્તારમાં પેસેન્જરોથી ભરેલી બસ પહાડ પરથી નીચે ખાબકતા 15 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ બસ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "ઉધમપુરમાં થયેલો દુ:ખદ માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ભગવાન તેમને શક્તિ આપે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. મેં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, SDRF અને આરોગ્ય વિભાગને અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે.

કેન્દ્રીય પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ અકસ્માત અંગે માહિતી શેર કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું, "ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે હમણાં જ વાત કરી. મને ખબર પડી કે એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા, કનોટ ગામમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો છે. રામનગરથી ઉધમપુર જઈ રહેલી જાહેર પરિવહન બસ અકસ્માતગ્રસ્ત થઇ હતી."

ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોટી જાનહાનિની આશંકા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવશે. ગંભીર રીતે ઘાયલોને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

તેમણે જણાવ્યું કે તે ઓ સ્થાનિક વહીવટીતંત્ર તેમજ સ્થાનિક સ્વયંસેવકોની ટીમ સાથે સતત સંપર્કમાં છે.