Fri Sep 04 2026

Logo

બસપામાં ફરી રાજકીય ઘમાસાણ: માયાવતીએ પોતાના ભત્રીજાના સસરા અશોક સિદ્ધાર્થને પક્ષમાંથી હાંકી કાઢ્યા

2026-08-02 13:05:00
Author: Vimal Prajapati
બસપામાં ફરી રાજકીય ઘમાસાણ: માયાવતીએ પોતાના ભત્રીજાના સસરા અશોક સિદ્ધાર્થને પક્ષમાંથી હાંકી કાઢ્યા

પટનાઃ બહૂજન સમાજ પાર્ટી (BSP) ની અંદર વધુ એક વખત તીવ્ર રાજકીય સંગ્રામ અને આંતરિક કલહ સપાટી પર આવી ગયો છે. પક્ષ પ્રમુખ માયાવતીએ કડક પગલું ભરીને પોતાના ભત્રીજા આકાશ આનંદના સસરા તેમજ પૂર્વ સાંસદ અશોક સિદ્ધાર્થને તાત્કાલિક અસરથી ‘બસપા’માંથી બહાર કરી દીધા છે. જેને લઈને અત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

રણધીર સિંહ બેનીવાલ પણ પાર્ટીમાંથી કાઢ્યાં

આ સાથે જ પંજાબ અને અન્ય રાજ્યોના પ્રભારી કોઓર્ડિનેટર રણધીર સિંહ બેનીવાલ સામે પણ અશિસ્તનો ડંડો ઉગામીને તેમને પાર્ટીમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા છે. આ આકરી કાર્યવાહીથી બસપાની અંદર ચાલી રહેલો સત્તા-સંગ્રામ ફરી એકવાર રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.  બસપા સુપ્રીમો માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સિલસિલાવાર પોસ્ટ શેર કરીને આ નિષ્કાસનની પાછળના કારણો દેશ સમક્ષ મૂક્યા હતા. 
 

બસપા સુપ્રીમો માયાવતીએ ખુલાસો કર્યો કે, અશોક સિદ્ધાર્થને અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન ટિકિટ વહેંચણીમાં ગડબડ અને પક્ષની માર્ગદર્શિકાના ભંગ બદલ પાર્ટીમાંથી બહાર કરાયા હતા. જોકે, બાદમાં ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની શરતે માત્ર અન્ય રાજ્યોમાં પક્ષનો જેનાધાર વધારવાની જવાબદારી સાથે તેમને પરત લેવામાં આવ્યા હતા.

વધુમાં લખ્યું કે, અશોક સિદ્ધાર્થને ગઈકાલે પાર્ટીની બધી જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા. તેમને કર્ણાટક, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યો માટે બસપા સંયોજક તરીકે ફરજો સોંપવામાં આવી હતી, પરંતુ તેઓ તે યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ ગયા. સતત શિસ્તભંગ અને પાર્ટી માર્ગદર્શિકાના ઉલ્લંઘન અંગે વારંવાર ચેતવણી આપવા છતાં, તેમના વર્તનમાં કોઈ સુધારો થયો નથી, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.