Wed Jul 22 2026

Logo

બોરીવલીના જ્વેલર્સને 30 લાખની ખંડણી માટે લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના નામે ધમકી

2026-02-23 20:29:00
Author: Yogesh C. Patel
Article Image

રૂપિયા ન આપે તો બાબા સિદ્દીકીની હત્યાનું પુનરાવર્તન કરવાની ચીમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: બોરીવલીના જ્વેલર્સના મોબાઈલ નંબર પર મેસેજ મોકલાવી અને વૉટ્સઍપ કૉલ કરીને લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગને નામે 30 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. રૂપિયા ન આપે તો બાબા સિદ્દીકીની હત્યાની જેમ ગોળીએ દેવાની ધમકી આરોપીએ આપી હતી.

બોરીવલીના એલ. ટી. રોડ પર આવેલા જ્વેલરીના શોરૂમના મૅનેજરે નોંધાવેલી ફરિયાદને આધારે બોરીવલી પોલીસે રવિવારે અજાણ્યા શખસ વિરુદ્ધ એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે શોરૂમના મોબાઈલ નંબર પર સૌપ્રથમ 18 ફેબ્રુઆરીએ ઈન્ટરનૅશનલ નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં 30 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. 24 કલાકમાં બિશ્ર્નોઈ ગૅન્ગને આ રકમ ચૂકવવામાં ન આવે તો બાબા સિદ્દીકીની જેમ ગોળીએ દેવાની ધમકી મેસેજમાં અપાઈ હતી. એ સિવાય પરિવારને પણ જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી.

ફરિયાદ અનુસાર બીજે દિવસે ફરી ઈન્ટરનૅશનલ નંબર પરથી વૉટ્સઍપ કૉલ આવ્યો હતો. રૂપિયા પહોંચતા ન કરવા બદલ પૂછીને હત્યા કરવાની ધમકી આપી આરોપીએ કૉલ કટ કર્યો હતો. ત્યાર બાદ શનિવારે આરોપીએ ફરી એક મેસેજ મોકલાવી નાણાંની માગણી કરી હતી. મેસેજ દ્વારા જ શોરૂમના કર્મચારીએ રકમ ઓછી કરવાની માગણી કરી હતી. 10 લાખ અને પછી ચાર લાખ રૂપિયા સ્વીકારવાની તૈયારી આરોપીએ દાખવી હતી.

શરૂઆતમાં મેસેજ અને વૉટ્સઍપ કૉલને ગંભીરતાથી ન લીધા બાદ ફરિયાદીએ આખરે શોરૂમના માલિક સાથે ચર્ચા કરી બોરીવલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.