ભાવનગરઃ ભાવનગર અત્યારે લઠ્ઠાકાંડના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે, સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 35 વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીના મોત સાથે લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 10એ પહોંચી ગયો છે. આ સાથે આ જ કેસમાં મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડિયા નામના યુવકને ગઈ કાલે સુરતની આઇએનએસ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો.
લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવેલા મૃતકોની યાદી
ભાવનગરમાં બનેલા આ લઠ્ઠાકાંડમાં કુલ 10 લોકોના મોત થયાં છે. જેમાં કાર્તિક મકવાણા (તળાજા રોડ, ભાવનગર), ઉપેન્દ્રસિંહ ગોહિલ (ખરકડી, ઘોઘા તાલુકો), નરેન્દ્રસિંહ યાદવ (ઈન્દોર, મધ્યપ્રદેશ), કનકસિંહ ગોહિલ (ભાવનગર), ઘનશ્યામસિંહ જાડેજા (કાળિયાબીડ, ભાવનગર), જયેશ ભટ્ટી (કાળિયાબીડ, ભાવનગર), નરેન્દ્રસિંહ યાદવ (મુરેના શહેર, મધ્યપ્રદેશ), અરવિંદ જાદવ (જાફરાબાદ), સુધીર રાવલ (હાથબ) અને હાર્દિક હરેશભાઇ કિલજીનો સમાવેશ થાય છે. હાર્દિક કિલજીનું આજે સર ટી હોસ્પિટલમાં મોત થયું છે.
દારૂમાં ઝેરી મિથેનોલ મિક્ષ કરેલું હોવાનો ખુલાસો
આ કેસમાં એફએસએલ દ્વારા કરવામાં આવેલી તપાસની વાત કરવામાં આવ્યો તો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. FSLના રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, મૃતકોએ જે દારૂ પીધો હતો તેમાં ઇથેનોલ નહીં પરંતુ ઝેરી મિથેનોલ મિક્ષ કરેલું હતું. FSLની ટીમ દ્વારા મૃતક અને સારવાર લઈ રહેલી દર્દીઓના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી. આ દરમિાન જાણવા મળ્યું કે તે દારૂમાં 38.59 ટકા મિથેનોલ મિક્ષ કરવામાં આવ્યું હતું. આ સાથે ઇથેનોલ પણ મિક્ષ કરેલું હતું જો કે, તેનું પ્રમાણ માત્ર 0.94 ટકા હોવાનું સાબિત થયું છે.