Tue Jul 28 2026

Logo

અર્નાળાના દરિયામાં ડૂબેલા બે સગીરમાંથી એકનો મૃતદેહ મળ્યો

2026-07-17 17:30:55
Author: Yogesh D. Patel
Article Image

પાલઘર: પાલઘર જિલ્લાના વિરારમાં અર્નાળાના દરિયામાં ગુરુવારે બપોરે નાહવા ગયા બાદ ડૂબી ગયેલા બે સગીરમાંથી એકનો મૃતદેહ શુક્રવારે સવારે મળી આવ્યો હતો. બીજો સગીર હજી લાપતા હોઇ તેની શોધ ચલાવવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ચાર છોકરા ગુરુવારે અર્નાળા બીચ પર આવ્યા હતા અન બાદમાં તેઓ સ્વિમિંગ કરવા માટે પાણીમાં ગયા હતા.

જોકે ભરતીને કારણે ઉછળતાં મોજા સાથે તેઓ તણાઇ ગયા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે તેમને ઇમર્જન્સી કૉલ પ્રાપ્ત થયો હતો, જેમાં જાણ કરાઇ હતી કે ચાર છોકરા સ્વિમિંગ કરવા માટે દરિયામાં ગયા હતા, પણ તેમને બહાર આવવામાં મુશ્કેલી પડી રહી છે. 

દરમિયાન ફરજ પર હાજર લાઇફ ગાર્ડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ હતી અને બે છોકરાને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અયાન ઝાકીર હુસેન (17) અને શોએબ (17) તણાઇ જતાં તેમની શોધ ચલાવવામાં આવી હતી.

પાલઘરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે અયાનનો મૃતદેહ શુક્રવારે સવારે મળી આવ્યો હતો, જ્યારે મહેસૂલ વિભાગ, પોલીસ અને સ્થાનિક લાઇફ ગાર્ડ દ્વારા શોએબની શોધ ચલાવવામાં આવી રહી છે. (પીટીઆઇ)