નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અરાકચી અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઇ હતી. આ અંગે મળતી માહિતી મુજબ બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક ઉર્જા પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટ સહિતના મુદ્દે વિગતચાર ચર્ચા થઇ હતી.
એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા સંમત
આ ચર્ચા બાદ ભારતના વિદેશ મંત્રીએ એક્સ પર જણાવ્યું હતું કે, તેમણે ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી સાથે વાતચીત કરી હતી. તેમણે લખ્યું કે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીનો ફોન આવ્યો. અમે વર્તમાન પરિસ્થિતિના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. અમે એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા સંમત થયા છે.
યુદ્ધવિરામ, દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા
આ ઉપરાંત ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, ચર્ચામાં યુદ્ધવિરામ, દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ સંબંધિત તાજેતરના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.જેમાં બંને દેશોના નેતાઓએ વર્તમાન પરિસ્થિતિના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી અને ભવિષ્યમાં એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેવા સંમતિ વ્યક્ત કરી છે.
વાતચીત વૈશ્વિક કૂટનીતિની દ્રષ્ટિથી મહત્વપૂર્ણ
ઈરાન અને ભારત વચ્ચેની આ વાતચીત વૈશ્વિક કૂટનીતિની દ્રષ્ટિથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિરતા ભારતના આર્થિક હિતો અને ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. ઈરાની વિદેશ મંત્રાલયે સંકેત આપ્યો છે કે આ ચર્ચાઓ અંગે વધારાની વિગતો પછીના તબક્કે જાહેર કરવામાં આવશે.