તનપુરેએ કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ કેસરિયો ધારણ કર્યો
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદ પવાર જૂથ)ના પૂર્વ વિધાન સભ્ય અને માજી પ્રધાન પ્રાજક્ત તનપુરે શનિવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાયા છે. હવે તનપુરેને અહિલ્યા નગરથી વિધાન પરિષદમાં સ્થાન મળે તેવી શક્યતા છે. મહત્વની વાત એ છે કે પ્રાજક્ત તનપુરે એનસીપી શરદ પવાર પક્ષના વરિષ્ઠ નેતા જયંત પાટીલના ભત્રીજા છે. તનપુરેએ કહ્યું છે કે આ નિર્ણય કાર્યકરો સાથે ઘણી વિચાર-વિમર્શ અને ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે.
પ્રાજક્ત તનપુરે એનસીપીના વરિષ્ઠ નેતા જયંત પાટીલના ભત્રીજા છે. અહમદનગર જિલ્લાના પ્રભાવી નેતા તરીકે પણ જાણીતા છે. રાહુરી વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. શનિવારે તેઓ ભાજપમાં જોડાયા એની સાથે પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણની હાજરીમાં અસંખ્ય કાર્યકરોએ પણ ભાજપનો ધ્વજ ઉપાડ્યો હતો. હવે, તેમને વિધાન પરિષદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
ભાજપમાં જોડાવા અંગે વાત કરતાં પ્રાજક્ત તનપુરેએ જણાવ્યું હતું કે 'આજે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. મને વિધાન પરિષદમાં તક મળવાની આશા છે. આ નિર્ણય લેતા પહેલા, મેં મારા કાર્યકરો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. જોકે, મારામાં જયંત પાટિલ અને શરદ પવાર સાથે સીધી વાત કરવાની હિંમત નહોતી. સુપ્રિયા સુળે સમક્ષ મારા વિચારો અને લાગણી રજૂ કર્યા હતા.'