Fri Sep 04 2026

Logo

ઉત્તર પ્રદેશમાં 'જન ગણ મન' વાગતું રહ્યું અને વિધાનસભા અધ્યક્ષે ચાલતી પકડી!  વિપક્ષે પૂછ્યું- 'શું 52 સેકન્ડનો સમય નહોતો?'

2026-08-23 19:22:00
Author: Devayat Khatana
ઉત્તર પ્રદેશમાં 'જન ગણ મન' વાગતું રહ્યું અને વિધાનસભા અધ્યક્ષે ચાલતી પકડી!  વિપક્ષે પૂછ્યું- 'શું 52 સેકન્ડનો સમય નહોતો?'

લખનઉ: તાજેતરમાં જ 15મી ઓગષ્ટના રોજ કોંગ્રેસના હેડ ક્વાર્ટરમાં વંદે માતરમ મુદ્દે મોટો વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર માછલાં ધોયા હતા.  ત્યારે હવે આ વિવાદની ચર્ચા વચ્ચે  ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાના પણ વિવાદમાં ઘેરાયા છે. મળતી વિગતો અનુસાર, જ્યારે તેઓ ઉન્નાવ જિલ્લામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને પ્રોટોકોલના ભાગ રૂપે પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તરત જ રાષ્ટ્રગાન શરૂ થયું આ દરમિયાન તેઓ તેઓ તેમની કારમાં બેસીને જતા રહ્યા હોવાનો તેમની પણ આક્ષેપ છે. 

મળતી વિગતો અનુસાર, ઉન્નાવ જિલ્લામાં આયોજિત એક સમારોહમાં સતીશ મહાના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ વીડિયો પ્રકાશમાં આવતાની સાથે જ વિપક્ષે ભાજપ અને સરકારની ટીકા કરી હતી. વીડિયોમાં સતીશ મહાના રાષ્ટ્રગાન દરમિયાન ત્રિરંગાને સલામી આપતા, હાથ જોડતા,  અને બાદમાં જ્યારે રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું, ત્યારે સલામી બેઝ પરથી ઉતરીને પોતાની કારમાં બેસીને જતા રહ્યા હતા તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન અમુક લોકો તેમની કાર પાસે આવતા જોવા મળ્યા હતા.

આ વિવાદ પર કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું કે જે લોકો બીજાઓને દેશભક્તિના પાઠ શીખવે છે, શું તેઓ પોતે રાષ્ટ્રગાનનું સન્માન કરી શકતા નથી? પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ઉન્નાવમાં ગાર્ડ ઓફ ઓનર દરમિયાન યુપી વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ રાષ્ટ્રગાન અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા. તેમણે સવાલ કર્યો હતો કે શું બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પાસે 52 સેકન્ડ માટે પણ રોકાવાનો સમય નથી? કોંગ્રેસે આને ભાજપ લોબીનો અસલી ચહેરો અને દેશભક્તિ ગણાવીને ભીંસમાં લીધી હતી. 

આ મુદ્દે સમાજવાદી પાર્ટીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સપાએ ટ્વીટ કરીને લખ્યું કે ભાજપ અને RSSના એક ખૂબ જ વરિષ્ઠ નેતા, અનેક વખત ધારાસભ્ય રહી ચૂકેલા, બંધારણીય વ્યવસ્થા અને સંસદીય પરંપરાઓને સમજનાર વ્યક્તિ, વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ, અને રાષ્ટ્રગાન પ્રત્યે આ પ્રકારનું વર્તન? આટલું અપમાન? પાર્ટીએ આગળ લખ્યું કે ખરેખર આ ભાજપ અને આરએસએસનો અસલી ચહેરો છે, શરૂઆતથી જ આ લોકોએ ક્યારેય રાષ્ટ્રગાનનું સન્માન કર્યું નથી, તેથી જ આજે પણ આ લોકો રાષ્ટ્રગાનનું સન્માન નથી કરી રહ્યા, તે તેમના એજન્ડામાં નથી.  આ લોકો માટે, રાષ્ટ્રગાન કે રાષ્ટ્રવાદ ફક્ત રાજકારણ કરવાનું અને વિપક્ષ પર પાયાવિહોણા હુમલા કરવાનું એક સાધન છે. ભાજપ અને આરએસએસે ક્યારેય ત્રિરંગો, બંધારણ, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતનું સન્માન કર્યું નથી, તેવો આક્ષેપ સમાજવાદી પાર્ટીએ કર્યો હતો.