નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ પાંચ દેશોનો વિદેશ પ્રવાસ રદ કરીને પરત ફર્યા છે. આ યાત્રાનો હેતુ ભારતના અન્ય દેશો સાથે સંબંધો મજબૂત કરવા અને મિત્ર દેશો સાથે સહયોગ વધારવાનો હતો. યુએઈના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદીએ ત્યાંના રાષ્ટ્રપ્રમુખ, ક્રાઉન પ્રિંસ અને ક્વીન મધરને ભારત તરફથી વિશેષ અને પારંપરિક ભેટ આપી હતી.
યુએઈના રાષ્ટ્રપ્રમુખને પીએમ મોદીએ શું આપી ભેટ
યુએઈના રાષ્ટ્રપ્રમુખને ગુજરાતના કચ્છનું જાણીતું રોગન પેઈન્ટિંગ ભેટમાં આપવામાં આવ્યું હતું. જેમાં ટ્રી ઑફ લાઈફનું ચિત્ર છે. જે કચ્છની પૌરાણિક ચિત્રકળા છે અને હાથથી બનાવવામાં આવે છે. તેમાં ઘાટા અને ચમકદાર રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રી ઑફ લાઈફ જીવન, વિકાસ અને પરસ્પર જોડાણનું પ્રતીક માનવામાં આવે છે. તે જીવનમાં સંતુલન અને આગળ વધવાની ભાવના કેટલી જરૂરી છે તે દર્શાવે છે. આ કળા ભારતની ધૈર્યપૂર્ણ અને સુંદર હસ્તકળા પરંપરાને દર્શાવે છે.

આ ઉપરાંત યુએઈના રાષ્ટ્રપ્રમુખને કેસર કેરીની પણ ભેટ આપવામાં આવી હતી. તાલાલા ગીરની કેસર કેરીને જીઆઈ ટેગ મળ્યો છે. તેને કેરીની રાણી પણ કહેવાય છે. આ કેરીની ખાસ વાત તેની સુગંધ છે. ઉપરાંત કે ફાઈબરલેસ હોય છે.
તેમજ યુએઈના રાષ્ટ્રપ્રમુખને મેઘાલયના પ્રખ્યાત અનાનસ ભેટમાં આપવામાં આવ્યા હતા. આ અનાનસ જીઆઈ-ટેગ ધરાવે છે અને વિશ્વના સર્વશ્રેષ્ઠ અનાનસમાં તેની ગણતરી થાય છે. તે ભારતના મેઘાલય રાજ્યના સ્વચ્છ અને પહાડી વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. આ અનાનસની ખાસિયત એ છે કે તેમાં મીઠાશ વધારે અને ખાટાશ ઓછી હોય છે, જેના કારણે તેનો સ્વાદ ખૂબ જ મીઠો, રસદાર અને સુગંધિત હોય છે. આ અનાનસ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. તેમાં બ્રોમેલિન નામનું એક કુદરતી એન્ઝાઇમ જોવા મળે છે, જે પાચનક્રિયામાં મદદ કરે છે અને સોજો ઓછો કરવામાં સહાયક બને છે.
યુએઈના ક્રાઉન પ્રિંસને શું આપી ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈના ક્રાઉન પ્રિંસને રાજસ્થાનના ઉદયપુરમાં બેનેલી કોફ્તગારી કળામાંથી બનેલું પારંપરિક ખંજર ભેટમાં આપ્યું હતું. આ એક ખાસ ધાતુ કળા છે. જેમાં લોખંડ પર સોના અને ચાંદીના તારમાંથી સુંદર ડિઝાઈન બનાવવામાં આવે છે. આ ખંજર માત્ર હથિયાર જ નથી પરંતુ ભારતીય શિલ્પ અને શાહી પરંપરાનું પ્રતિક પણ છે. જે સાહસ, સન્માન અને સંસ્કૃતિને દર્શાવે છે. તેને યુએઈની ખંજર પરંપરાની સમકક્ષ માનવામાં આવે છે.